IPLના મેદાન પર હવે વધારાના ખેલાડીઓને 'નો એન્ટ્રી'....જાણો લેટેસ્ટ નિયમ

આઈપીએલ 19મી સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ રમતની શિસ્ત અને ગતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા ફરમાન મુજબ, મેચ દરમિયાન મેદાન પર થતી 'બિનજરૂરી ભીડ' અટકાવવા માટે હવેથી માત્ર 16 લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. ટીમ શીટમાં નામ ન હોય તેવા ખેલાડીઓ હવે બાઉન્ડ્રી લાઇન ઓળંગી શકશે નહીં કે મેદાનમાં પાણી અને બેટ પણ લઈ જઈ શકશે નહીં. સ્લો ઓવર રેટ અને સમયના બગાડને રોકવા માટે લેવાયેલા આ નિર્ણયથી ટીમોએ હવે મેદાન પર વધુ શિસ્તબદ્ધ રહેવું પડશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આઈપીએલ 19મી સીઝન દરમિયાન મેદાન પર ખેલાડીઓની બિનજરૂરી ભીડને રોકવા માટે એક નવું ફરમાન જાહેર કર્યું છે. સીઝનની 14 મેચો પૂર્ણ થયા બાદ બોર્ડને એવું લાગ્યું કે મેદાન પર વધારાના ખેલાડીઓની અવરજવરને કારણે રમતની ગતિ અને શિસ્ત પર અસર પડી રહી છે, જેના પરિણામે આ કડક પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, હવેથી દરેક ટીમે મેચ શરૂ થતા પહેલા જે ટીમ શીટ સોંપવાની હોય છે, તેમાં માત્ર 16 ખેલાડીઓના જ નામ લિસ્ટેડ કરી શકાશે. આ 16 ખેલાડીઓમાં 11 પ્લેઈંગ ઈલેવનના સભ્યો, 1 ઈમ્પેક્ટ સબસ્ટિટ્યૂટ અને 4 રિઝર્વ ખેલાડીઓનો સમાવેશ થશે. આ લિસ્ટમાં જેનું નામ નહીં હોય, તે ખેલાડી મેદાનની અંદર પ્રવેશી શકશે નહીં. ટીમમાં સામેલ અન્ય 'સરપ્લસ' અથવા વધારાના ખેલાડીઓ માટે હવે બાઉન્ડ્રી લાઇન એક સીમા રેખા બની રહેશે.
આ નિયમ દ્વારા મેદાન પર થતા બિનજરૂરી જમાવડાને ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌથી મહત્વનો ફેરફાર એ છે કે મેચ શીટમાં નામ ન હોય તેવા ખેલાડીઓ હવે મેદાનમાં પાણી, બેટ કે ગ્લવ્ઝ લઈને જઈ શકશે નહીં. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે નેટ બોલરો કે વધારાના ખેલાડીઓ પણ મેદાનમાં દોડી આવતા હતા, પરંતુ હવે માત્ર બિબ પહેરેલા 5 લિસ્ટેડ ખેલાડીઓ જ બાઉન્ડ્રી પાસે રહી શકશે અને જરૂરી સામગ્રી પહોંચાડી શકશે. BCCI એ આ નિર્ણય મુખ્યત્વે 'સ્લો ઓવર રેટ'ની સમસ્યાને કાબૂમાં લેવા માટે લીધો છે. ઘણીવાર વધારાના ખેલાડીઓ મેદાનમાં આવીને મેસેજ આપવાના બહાને સમય બગાડતા હોય છે, નિયમ હેઠળ ડગઆઉટમાં બેઠેલા વધારાના ખેલાડીઓ મેદાન પર ફિલ્ડિંગ કે બેટિંગ કરી રહેલા સાથી ખેલાડીઓ સુધી કોઈ પણ પ્રકારનો સંદેશો પહોંચાડી શકશે નહીં.
બાઉન્ડ્રી પર હાજર મર્યાદિત ખેલાડીઓ જ વ્યૂહરચનાની આપ-લે કરી શકશે. આનાથી મેદાન પર કેપ્ટન અને બેટ્સમેનોએ પોતાની સૂઝબૂઝથી જ વધુ નિર્ણયો લેવા પડશે. ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો આ નિયમોનું ઉલ્લંઘન થશે, તો તે આઈપીએલ આચાર સંહિતાનો ભંગ ગણાશે. જો કોઈ બિન-લિસ્ટેડ ખેલાડી મેદાનમાં જોવા મળશે, તો તે ટીમ અને તેના કેપ્ટન સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવી શકે છે. આ ફેરફારથી આઈપીએલની રમતમાં વધુ વ્યાવસાયીકરણ અને શિસ્ત જોવા મળે તેવી આશા છે.