ગુજરાતમાં 'ઝોલાછાપ' ડૉક્ટરોનો રાફડો: 3 વર્ષમાં 2724 નકલી તબીબો ઝડપાયા, નવસારી ટોચ પર
ગુજરાતના છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓની નબળી સ્થિતિનો લાભ લઈને અનેક 'ઝોલાછાપ' ડૉક્ટરો ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી અને પછાત વિસ્તારોમાં લાયકાત વિનાના તબીબો બેફામ બન્યા છે. જોકે, આ દૂષણને ડામવા માટે રાજ્ય સરકારે હવે કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે અને 'ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ-2026' પસાર કરીને આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કર્યો છે.
નકલી ડૉક્ટરો અને કાર્યવાહીનો ચિતાર
રાજ્યભરમાંથી છેલ્લા 3 વર્ષમાં કુલ 2724 જેટલા ઝોલાછાપ ડૉક્ટરો પકડાયા છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ 221 બોગસ ડૉક્ટરો એકલા નવસારી જિલ્લામાંથી ઝડપાયા છે. વર્ષ 2021માં 839 નકલી ડૉક્ટરો પકડાયા હતા, જે સંખ્યા વધીને 2023માં 1010 સુધી પહોંચી છે. તપાસ દરમિયાન 169 વ્યક્તિઓ પાસે તબીબી સારવાર માટેની નકલી ડિગ્રી હોવાનું સાબિત થયું છે.
આરોગ્ય વિભાગ દ્વારા કુલ 154 નકલી ડૉક્ટરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) દાખલ કરવામાં આવી છે. ધરપકડના ડરથી 6 બોગસ ડૉક્ટરો દવાખાના બંધ કરીને ફરાર થઈ ગયા છે, જ્યારે 4 હજુ પોલીસ પકડથી દૂર છે.
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ બિલ-2026
આરોગ્ય ક્ષેત્રે થતી છેતરપિંડી અટકાવવા સરકારે નવા નિયમો લાગુ કર્યા છે:
ફરજિયાત રજીસ્ટ્રેશન: નાના ક્લિનિકથી લઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો અને લેબોરેટરીઓ માટે હવે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.
દંડની જોગવાઈ: રજીસ્ટ્રેશન વિના પ્રેક્ટિસ કરનારા અથવા નિયમોનો ભંગ કરનારાઓને 10,000 થી લઈને 5,00,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ છે.
મુખ્ય હેતુ: કોઈપણ બિનઅનુભવી કે ગેરલાયક વ્યક્તિ દર્દીની સારવાર ન કરે અને આરોગ્યની ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવાનો છે.