લ્યો બોલો ગયા વોટ? અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં BJP નેતાઓ પહોંચ્યા જનતાના દ્વારે વોટ માંગવા, પણ જનતાએ માંગ્યો હિસાબ....

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પોશ ગણાતા બોડકદેવમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે નેતાઓ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા જેવો સાબિત થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ભાજપના પૂર્વ કોર્પોરેટર વાસંતી પટેલ જ્યારે પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ઢોલ-નગારાના તાલે મતદારોને રિઝવવા નીકળ્યા ત્યારે તેમને કલ્પના પણ નહોતી કે જનતાનો આવો ઉગ્ર પ્રતિસાદ મળશે. વર્ષોથી પડતર પ્રશ્નો અને પાયાની સુવિધાઓના અભાવે પીડાતા સ્થાનિકોએ નેતાઓને જોતા જ પોતાનો આક્રોશ ઠાલવવાનું શરૂ કર્યું હતું. સોસાયટીના ગેટ પાસે જ વાસંતી પટેલ અને તેમની ટીમનો ઘેરાવો કરીને રહીશોએ સવાલોનો મારો ચલાવ્યો હતો, જેના કારણે પ્રચારના ઉત્સાહ વચ્ચે 'હાઈવોલ્ટેજ ડ્રામા' જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિક રહીશોનો સૌથી મોટો આક્ષેપ એ હતો કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિસ્તારના વિકાસ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યારેય ફરક્યા પણ નથી. જ્યારે મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. લોકોએ રોષે ભરાઈને પૂછ્યું હતું કે, "જ્યારે ગટર ઉભરાતી હતી, સ્ટ્રીટ લાઈટો બંધ હતી અને રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા ત્યારે રજૂઆતો કરવા છતાં તમે ક્યાં ગાયબ હતા?" સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે પાંચ વર્ષ સુધી પ્રજાની સમસ્યા ન દેખાઈ અને હવે જ્યારે ફરી સત્તા મેળવવાની લાલચ જાગી છે ત્યારે જ ઢોલ વગાડીને મત માંગવા કેમ આવ્યા છો? નેતાઓ પાસે જનતાના આ તાર્કિક પ્રશ્નોનો કોઈ જવાબ નહોતો, પરિણામે તેઓએ મૌન ધારણ કરી લેવું પડ્યું હતું.
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાગૃત નાગરિકો નેતાઓને વિકાસના કામોનો હિસાબ માંગી રહ્યા છે અને પૂર્વ કોર્પોરેટરને સંબોધીને કહી રહ્યા છે કે કામ કર્યા વગર વોટ માંગવાનો કોઈ અધિકાર નથી. જનતાના ઉગ્ર વિરોધ અને સતત થતા હોબાળાને જોતા આખરે ભાજપના નેતાઓને પોતાનો પ્રચાર અધવચ્ચે જ પડતો મૂકીને ત્યાંથી રવાના થવાની ફરજ પડી હતી. આ કિસ્સો અન્ય નેતાઓ માટે પણ લાલબત્તી સમાન છે, જે દર્શાવે છે કે હવે મતદારો માત્ર આશ્વાસનોથી સંતુષ્ટ નથી, પરંતુ તેઓ જમીની સ્તર પર થયેલા કામનો હિસાબ માંગી રહ્યા છે. બોડકદેવની આ ઘટનાએ સાબિત કર્યું છે કે આગામી ચૂંટણીમાં નેતાઓ માટે જનતાના દરબારમાં જવું એટલું સહેલું નહીં હોય.