સ્વાદના શોખીનો સાવધાન! અમદાવાદમાં આવેલી મારૂતિનંદન રેસ્ટોરન્ટમાં ઉંદરોની ધમાચકડી જોવા મળી, સ્ટાફ કહે- ‘આ તો બધે હોય
અમદાવાદના હાર્દ સમાન RTO સર્કલ પાસે આવેલી અને શહેરમાં જાણીતી ‘મારૂતિનંદન’ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાના લીરેલીરા ઉડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા ગંભીર ચેડાંને ખુલ્લા પાડ્યા છે. એક પરિવારને આ રેસ્ટોરન્ટમાં મોટા ઉંદરો ફરતા જોવા મળતા ભારે હોબાળો મચી ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, ફરિયાદ કરવા છતાં રેસ્ટોરન્ટના સ્ટાફે માફી માંગવાને બદલે અત્યંત બેજવાબદાર જવાબ આપતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ઘટનાની વિગતો, ઉંદરોને મુક્તપણે ફરતા જોઈ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયાં 
એક પરિવાર જ્યારે નિશ્ચિંત થઈને અહીં ભોજનનો આનંદ માણી રહ્યો હતો, ત્યારે અચાનક જ ડાઇનિંગ એરિયામાં બે મહાકાય ઉંદરોને મુક્તપણે ફરતા જોઈ પરિવારના સભ્યોના હોશ ઉડી ગયા હતા. આ દ્રશ્ય જોઈને ગભરાયેલા ગ્રાહકે જ્યારે રેસ્ટોરન્ટના સ્ટાફને બોલાવી આ અંગે ફરિયાદ કરી, ત્યારે મેનેજમેન્ટ તરફથી માફી માંગવાને બદલે અત્યંત ઉદ્ધત અને બેજવાબદાર પ્રતિભાવ સાંપડ્યો હતો. હાજર વેઈટરે જાણે આ રોજની ઘટના હોય તેમ નિર્લજ્જતાથી જણાવ્યું હતું કે, “જ્યાં ખાવાનું હોય ત્યાં તો ઉંદરો આવતા-જતા રહે, એમાં વળી નવાઈ શું!” સ્ટાફના આવા બેફામ નિવેદને ગ્રાહકોના રોષમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું.
ભોગ બનનાર ગ્રાહકએ શું કહ્યું?
આ ઘટના માત્ર એક હોબાળા પૂરતી સીમિત નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય માટે એક મોટા જોખમની ઘંટડી સમાન છે. જે જગ્યાએ હજારો નાગરિકો ભરોસો મૂકીને જમવા આવતા હોય, ત્યાં ઉંદરોનો આવો વસવાટ પ્લેગ અને લેપ્ટોસ્પાયરોસિસ જેવી જીવલેણ બીમારીઓને સીધું નિમંત્રણ આપે છે. ભોગ બનનાર ગ્રાહકએ આક્રોશ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે જો પીરસવાના મુખ્ય ભાગમાં જ આટલી ગંદકી અને ઉંદરોનો ત્રાસ હોય, તો અંદર રસોડાની હાલત કેટલી બદતર હશે તેની કલ્પના કરવી પણ ધ્રુજારી પેદા કરે છે.
AMCનો ફૂડ વિભાગ માત્ર નાના લારી-ગલ્લાઓ પર જ ત્રાટકે છે?
આ ઘટનાનો વીડિયો અને વિગતો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ અમદાવાદીઓમાં ભારે ફિટકારની લાગણી જન્મી છે. હવે જનતામાં એક જ સૂર ઉઠ્યો છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નો ફૂડ વિભાગ માત્ર નાના લારી-ગલ્લાઓ પર જ ત્રાટકે છે? કે પછી આવી મોટી રેસ્ટોરન્ટ્સ સામે પણ કડક કાર્યવાહી કરીને તેમનું લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરશે? ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે રમત રમતા આવા એકમો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે તે જોવું રહ્યું.