અમદાવાદ : સરખેજ-ધોળકા રોડ પરથી 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ...
અમદાવાદના સરખેજ-ધોળકા હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 85 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી માહિતી મુજબ, છેલ્લા લાંબા સમયથી માનસિક અસ્વસ્થતા સામે ઝઝૂમી રહેલા સમુબેન નામના આ વૃદ્ધા મોડી રાત્રે કોઈને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને આજે તેમનો મૃતદેહ રસ્તા નજીક આવેલી એક તલાવડી પાસેથી મળી આવ્યો હતો. વહેલી સવારે રસ્તા પર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે, જ્યારે પરિવારમાં પણ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, સમુબેન છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી અવારનવાર વિસ્મૃતિનો શિકાર બનતા હતા. આજે 3 એપ્રિલની વહેલી સવારે અંદાજે ચાર વાગ્યાની આસપાસ જ્યારે આખું શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે તેઓ કોઈને પણ કહ્યા વગર ચુપચાપ ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોને જ્યારે તેઓ ઘરે ન હોવાની જાણ થઈ ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કમનસીબે સાત વાગ્યાની આસપાસ હાઈવે નજીકની તલાવડી પાસે ભીડ એકઠી થયેલી જોઈ તપાસ કરતા સમુબેનનો નિશ્ચેત દેહ નજરે પડ્યો હતો. પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. 
સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સરખેજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તજવીજ હાથ ધરી હતી. આ ઘટના આકસ્મિક મૃત્યુ છે કે અન્ય કોઈ કારણ, તે સ્પષ્ટ કરવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.