અમદાવાદના સરખેજમાં રહસ્યમય મોત : LJ કોલેજ પાસે પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો...
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત LJ કોલેજ પાસેની એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. અહીં રસ્તા પર લાંબા સમયથી પાર્ક કરેલી એક લક્ઝુરિયસ મર્સિડીઝ કારમાંથી અંદાજે 40 વર્ષીય અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કાર ગેરેજવાળાની હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 
આ કાર સ્થાનિક ગેરેજ સંચાલકની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ બંધ કારમાં મૃતક વ્યક્તિ કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કયા સંજોગોમાં થયું તે અત્યારે પોલીસ માટે મોટો કોયડો બન્યો છે. મૃતદેહની હાલત જોતા પોલીસનું અનુમાન છે કે આ વ્યક્તિનું મોત આશરે બે દિવસ પહેલા થયું હોવું જોઈએ. સમગ્ર મામલે તપાસ કરતા ગાડીમાંથી લાશ મળી તે મૃતક પ્રતાપભાઈ (રહે. બોડકદેવ) હોવાની હકીકત મળેલ છે. મૃતક ગત તા. 25મીએ ઘરેથી નીકળ્યા હતા, જે બાબતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી. મૃતકને બીમારી હતી અને દવા પણ ચાલતી હતી. આ મામલે વધુ તપાસ ચાલુ છે. 
ઘટનાની ગંભીરતાને જોતા માત્ર સરખેજ પોલીસ જ નહીં, પરંતુ એફએસએલ (FSL)ની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. એફએસએલના નિષ્ણાતોએ કારની અંદરથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય મહત્વના પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે જેથી કરીને મોતનું સાચું કારણ જાણી શકાય. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી જાણી શકાય કે છેલ્લા 48 કલાકમાં કારની આસપાસ કોઈ શંકાસ્પદ હલચલ થઈ હતી કે નહીં. આ રહસ્યમય મોતના મામલે પોલીસ અત્યારે અલગ-અલગ એન્ગલથી તપાસ કરીને મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો કરી રહી છે.