અમદાવાદમાં બે બાળકીના મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ : માતા-પિતાના બ્લડમાંથી ઊંઘની દવા મળતા તપાસની દિશા બદલાઈ...
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનામાં હવે એક એવો વળાંક આવ્યો છે જેણે પોલીસ અને તપાસનીશ એજન્સીઓને પણ ચોંકાવી દીધા છે. શરૂઆતમાં જે ઘટનાને ફૂડ પોઈઝનિંગ અથવા ઢોસાના ખીરાની આડઅસર માનવામાં આવતી હતી, તે હવે એક ગહન ગુનાહિત કાવતરું હોવાની આશંકા જન્માવી રહી છે.
FSL અને વિસેરા રિપોર્ટની પ્રાથમિક વિગતો મુજબ, મૃતક બાળકીઓના માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી ઊંઘની દવાના અંશો મળી આવ્યા છે. આ નવા ખુલાસાએ સમગ્ર કેસની દિશા બદલી નાખી છે, કારણ કે જો માત્ર ખીરું ખાવાથી તબિયત બગડી હોય તો લોહીમાં ઊંઘની દવાનું કન્ટેન્ટ ક્યાંથી આવ્યું તે એક મોટો સવાલ બની ગયો છે. પોલીસે હવે આ ઘટનામાં ફૂડ પોઈઝનિંગની થીયરીને બાજુ પર મૂકીને અન્ય પાસાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે.
સીસીટીવી અને FSL તપાસમાં ખીરાની થીયરી નબળી પડી
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે વિમલ પ્રજાપતિ જે ડેરીએથી ખીરું લાવ્યા હતા ત્યાંથી લઈને તેમના ઘર સુધીના તમામ સીસીટીવી ફૂટેજનું મિનિટ-ટુ-મિનિટ મોનિટરિંગ કર્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે ખીરાના સેમ્પલમાં કોઈ પણ પ્રકારના ઝેરી કે વાંધાજનક તત્વો મળ્યા નથી. FSLની ટીમે પરિવારના ઘરેથી ચાદર, કપડાં, વાસણો અને બાળકોની દવાઓ કબજે કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
ખાસ કરીને જ્યારે માતા-પિતાના શરીરમાંથી નશાયુક્ત કે ઊંઘની દવાના અંશો મળી આવ્યા હોય, ત્યારે આ આખી ઘટના પાછળ કોઈ પારિવારિક વિખવાદ કે પૂર્વઆયોજિત કાવતરું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.