આજે 36 ડિગ્રીની શક્યતાં, અમદાવાદમાં ગરમીનો પારો વધશે પણ... સાત દિવસ પછી શું થશે? જાણો હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી!
અમદાવાદ : ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે જ હવે ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી દિવસો માટે ચિંતાજનક આગાહી કરી છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયા બાદ આજથી ગરમીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસમાં તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે, જેના કારણે આજે અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના કેશોદમાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં તાજેતરમાં સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે રાજ્યમાં વધતી જતી ગરમીના સંકેત આપે છે.
હાલમાં વાતાવરણમાં થઈ રહેલા આ ફેરફાર પાછળ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલું સાયકલોનિક સર્ક્યુલેશન મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, હાલમાં ગરમી વધી રહી છે પરંતુ પશ્ચિમમાં સર્જાયેલી આ સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી સાત દિવસ પછી રાજ્યના હવામાનમાં ફરી એકવાર પલટો જોવા મળી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ માર્ચના અંતિમ સપ્તાહમાં વાતાવરણમાં ફેરફાર આવશે, જેના કારણે અત્યારે જે રીતે ગરમી વધી રહી છે તેમાં થોડો વિરામ અથવા ફેરફાર જોવા મળી શકે છે. જોકે, હાલ પૂરતું તો અમદાવાદીઓએ બપોરના સમયે આકરા તડકા અને ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સતત વધતા પારાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને પૂરતું પાણી પીવા અને સીધા તડકાથી બચવા માટે સલાહ આપવામાં આવી રહી છે.