કોણ સંભાળશે એર ઇન્ડિયાની કમાન? કેમ્પબેલ વિલ્સનના રાજીનામાથી એવિએશન સેક્ટરમાં અનેક તર્ક-વિતર્ક
ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયામાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. એરલાઈનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કેમ્પબેલ વિલ્સને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વર્ષ 2022માં 5 વર્ષના કોન્ટ્રાક્ટ પર નિમણૂક પામેલા વિલ્સનનો કાર્યકાળ જુલાઈ 2027માં પૂર્ણ થવાનો હતો, પરંતુ તેમણે અધવચ્ચે જ પદ છોડવાનો નિર્ણય લેતા એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે. સતત વધી રહેલી આર્થિક ખોટ અને નિયામકીય તપાસના દબાણ વચ્ચે કેમ્પબેલ વિલ્સને આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
ખાસ કરીને ગયા વર્ષે થયેલા અમદાવાદના બોઈંગ વિમાન અકસ્માતમાં 260 લોકોના કરુણ મોત બાદ એરલાઈન પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે, જેના કારણે મેનેજમેન્ટ પર ભારે દબાણ હતું. એર ઈન્ડિયા માટે હાલની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર છે. નાણાકીય વર્ષ 2026માં એર ઈન્ડિયાની ખોટ ₹20,000 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. આ આંકડો અગાઉના ₹2,000 કરોડના અંદાજ કરતા 10 ગણી વધારે છે, જે ટાટા ગ્રુપ માટે ચિંતાનો વિષય બન્યો છે. એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં પાકિસ્તાન દ્વારા તેની એરસ્પેસ બંધ કરવાના નિર્ણયે વધારો કર્યો છે, જેનાથી પશ્ચિમી રૂટ પર માઠી અસર પડી છે.
આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ (100 ડોલરથી ઉપર) અને અમેરિકા-ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધની સ્થિતિએ એરલાઈન માટે 'પરફેક્ટ સ્ટોર્મ' જેવી સ્થિતિ સર્જી છે. માત્ર એર ઈન્ડિયા જ નહીં, પરંતુ ટાટા ગ્રુપની અન્ય નવી કંપનીઓની સંયુક્ત ખોટ પણ ₹29,000 કરોડ થવાનો અંદાજ છે. આ કુલ ખોટમાં સૌથી મોટો હિસ્સો એર ઈન્ડિયાનો છે, જે ગ્રુપની એકંદર આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી રહ્યો છે, હવે એર ઈન્ડિયા માટે સૌથી મોટો પડકાર આ જંગી આર્થિક ખાડામાંથી બહાર આવવાનો, નેતૃત્વનું નવું માળખું ઊભું કરવાનો અને ગ્રાહકોનો ગુમાવેલો વિશ્વાસ ફરી જીતવાનો રહેશે.