અલીગઢમાં અગરબત્તીના કારણે ગેસ સિલિન્ડર ફાટતા સર્જાઈ ભયાનક દુર્ઘટના? રહેણાંક મકાનમાં લાગેલી આગમાં બે ભાઈઓ દાઝ્યા...
અલીગઢના ક્વાર્સી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ફિરદોસ નગરની ગલી નંબર 2માં મોડી રાત્રે અઢી વાગ્યે ત્યારે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક મકાનના ઉપરના માળે જોરદાર વિસ્ફોટો થવા લાગ્યા. શમશાદ માર્કેટમાં ચાની દુકાન ચલાવતા બે સગા ભાઈઓ, શહેઝાદ અને જર્રાહ, પોતાના રૂમમાં સૂતા હતા ત્યારે કથિત રીતે મચ્છર ભગાડવાની અગરબત્તી સળગાવતી વખતે અથવા ગેસ લીકેજને કારણે વીજળીની સ્વીચ પાડતા જ ભીષણ આગ ફાટી નીકળી હતી.
આ રૂમમાં ચાની દુકાન માટે રાખવામાં આવેલા ચારથી પાંચ ગેસ સિલિન્ડરો પૈકી એક પછી એક એમ ચાર સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આખું ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ વિસ્ફોટો એટલા શક્તિશાળી હતા કે તેના અવાજથી આસપાસની ગીચ વસ્તીવાળી ગલીઓમાં લોકોના ઘર ધ્રૂજી ઉઠ્યા હતા અને ભયભીત થઈને લોકો રસ્તા પર દોડી આવ્યા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને બાકીના સિલિન્ડરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જેથી મોટી હોનારત ટળી હતી. ઇજાગ્રસ્ત ભાઈઓને તાત્કાલિક જેએન મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમની ગંભીર હાલતને જોતા તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર મુકેશ કુમારના જણાવ્યા અનુસાર, ઘરમાં ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં ગેસ સિલિન્ડરોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જે આ વિનાશનું મુખ્ય કારણ બન્યું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે રહેણાંક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવા પાછળનું કારણ શું હતું અને આ બેદરકારી માટે કોણ જવાબદાર છે.