અમરાવતી બની આંધ્રપ્રદેશની કાયમી રાજધાની, સંસદમાં આંધ્રપ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ 2026 પસાર
સંસદ દ્વારા આંધ્રપ્રદેશ પુનર્ગઠન બિલ, 2026 ને પસાર કરવામાં આવ્યું છે, જેનાથી અમરાવતીને આંધ્રપ્રદેશની એકમાત્ર અને કાયમી રાજધાની તરીકેનો કાનૂની દરજ્જો પ્રાપ્ત થયો છે. લોકસભા બાદ આજે રાજ્યસભામાં પણ આ બિલને મંજૂરી મળતાં આંધ્રપ્રદેશના લોકોની રાજધાની અંગેની વર્ષો જૂની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. બિલ પસાર થતાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નવી રાજધાની માટે રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
5 કરોડ લોકોના ગૌરવ અને વિશ્વાસની પુનઃસ્થાપના
ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ બિલ માત્ર એક વહીવટી નિર્ણયથી ઘણું આગળ છે અને તે આંધ્રપ્રદેશના 5 કરોડથી વધુ લોકો માટે ગૌરવ, શ્રદ્ધા અને લોકશાહી વિશ્વાસની પુનઃસ્થાપનાનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ 23 એપ્રિલ, 2016 ના રોજ રાજ્ય સરકારે અમરાવતી માટે સૂચના બહાર પાડી હતી. ત્યારબાદ તાજેતરમાં 28 માર્ચ, 2026 ના રોજ આંધ્રપ્રદેશ વિધાનસભાએ કલમ 5(2) માં સુધારો કરવા અને અમરાવતીને બંધારણીય માન્યતા આપવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા આ કાનૂની સ્પષ્ટતા કરવામાં આવી છે.
વિભાજનની પીડા અને ખેડૂતોનો ઐતિહાસિક સંઘર્ષ
ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી કે. રામમોહન નાયડુએ આને અત્યંત ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે રાજ્યના વિભાજન સમયે આંધ્રપ્રદેશને રાજધાની વિના 16,000 કરોડ રૂપિયાની મહેસૂલ ખાધ સાથે અનિશ્ચિતતામાં ધકેલી દેવાયું હતું, પરંતુ આ બિલ રાજ્યનું આત્મસન્માન ફરીથી વ્યાખ્યાયિત કરશે. બીજી તરફ, કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ 12 વર્ષના વિલંબને સંસદ અને કેન્દ્રની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નિર્ણય સરકારનો ઉપકાર નથી પરંતુ અગાઉની સરકારના કથિત ઉત્પીડન સામે લડનારા અમરાવતીના ખેડૂતો અને નાગરિકોના લાંબા અને પીડાદાયક સંઘર્ષનો વિજય છે.
YSRCP નો વિરોધ અને TDP નું મજબૂત સમર્થન
આંધ્રપ્રદેશના YSRCP સાંસદ યેરામ વેંકટ સુબ્બા રેડ્ડીએ બિલના વર્તમાન સ્વરૂપનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે રાજધાની માટે જમીન આપનારા અને હજુ સુધી વળતરથી વંચિત હજારો ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીને બિલના આધાર પર સવાલ કર્યા હતા. જ્યારે બિલને ટેકો આપતા TDP ના સાંસદ મસ્તાન રાવ યાદવ બીઢાએ સ્પષ્ટ કર્યું હતું કે, આ બિલ માત્ર રાજધાની પૂરતું સીમિત નથી, પરંતુ તે આંધ્રપ્રદેશના લોકોની આત્મા અને ઓળખને સ્પર્શે છે.