મધ્યપ્રદેશના અનૂપ્પુરમાં 4 માળની હોટલ ધરાશાયી: 2 નાં મોત, 3 બચાવાયા, હજુ 5 લોકો ફસાયા હોવાની આશંકા
મધ્યપ્રદેશના અનૂપ્પુર જિલ્લામાં શનિવારે સાંજે એક 4 માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકોને જીવતા બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને તપાસ ચાલી રહી છે.
કોટમા બસ સ્ટેન્ડ પાસે સર્જાઈ દુર્ઘટના, 2 નાં મોત
પ્રાપ્ત વિગતો અનુસાર, અનૂપ્પુર જિલ્લામાં કોટમા બસ સ્ટેન્ડ પાસે આવેલી 4 માળની એક હોટલ 4 એપ્રિલની સાંજે લગભગ 5.30 વાગ્યાની આસપાસ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટના બાદ શનિવારે રાત્રે કાટમાળમાંથી બે મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, મૃતકોની ઓળખ 55 વર્ષીય હનુમાન યાદવ અને 50 વર્ષીય રામકૃપાલ યાદવ તરીકે થઈ છે. બચાવી લેવાયેલા અન્ય 3 ઘાયલોને વધુ સારવાર અર્થે શહડોલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
NDRF અને ડોગ સ્ક્વોડ દ્વારા બચાવ કામગીરી તેજ
ઘટનાની જાણ થતાં જ છત્તીસગઢના ભિલાઈથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ મધ્યરાત્રિએ જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વારાણસીથી બીજી એક ટીમ પણ મદદ માટે રસ્તામાં છે. અનૂપ્પુર કલેક્ટર હર્ષલ પંચોલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, "પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી બેના મોત થયા છે અને ત્રણની સારવાર ચાલી રહી છે. NDRF-SDRF ટીમ અને જિલ્લા વહીવટીતંત્ર અહીં બચાવ કામગીરીમાં લાગેલા છે." તેમણે વધુમાં ઉમેર્યું કે હજુ પણ 4 થી 5 લોકો ફસાયા હોવાની આશંકા છે, જેમને શોધવા ડોગ સ્ક્વોડની મદદ લેવાઈ રહી છે.
બાજુમાં ખોદાયેલા ખાડા અને રિનોવેશનને કારણે પાયો નબળો પડ્યો
આ ધરાશાયી થયેલી ઇમારત કોટમા શહેરના રહેવાસી લલ્લુ અગ્રવાલની હોવાનું જાણવા મળ્યું છે. અનૂપ્પુર નગરપાલિકાના ઉપપ્રમુખ બદ્રી પ્રસાદ તામ્રકારે દુર્ઘટનાનું પ્રાથમિક કારણ જણાવતા કહ્યું હતું કે, ઇમારતની બિલકુલ બાજુમાં આવેલા 20 બાય 50 ફૂટના પ્લોટ પર બાંધકામ માટે આશરે 12 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ ખાડો પાણીથી ભરાઈ જતાં ઈમારતનું ફાઉન્ડેશન નબળું પડી ગયું હતું. ઉપરાંત, દુર્ઘટના સમયે ઇમારતના ઉપરના માળે ટાઇલ્સ અને પ્લમ્બિંગનું રિનોવેશન કામ ચાલી રહ્યું હતું.
ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના
આ ગંભીર દુર્ઘટના મામલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. અધિક મુખ્ય સચિવ કે.સી. ગુપ્તાના નેતૃત્વમાં 4 સભ્યોની એક વિશેષ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલાની સત્તાવાર તપાસ શરૂ કરી છે. અનૂપ્પુર જિલ્લાના પ્રભારી મંત્રી દિલીપ આહિરવાર પણ 500 કિમી દૂર છતરપુરથી વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.