સૂર્યદેવે રામલલાના મસ્તક પર કર્યું તિલક, જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી રામનગરી અયોધ્યા...
રામનગરી અયોધ્યામાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરની સૌથી વિશેષ અને દિવ્ય ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે બપોરે બરાબર 12 વાગ્યે સૂર્યદેવે સ્વયં રામલલાના લલાટ પર તિલક કર્યું હતું. વિજ્ઞાન અને અધ્યાત્મના અદભૂત સંગમ સમાન આ સૂર્ય તિલકની પ્રક્રિયા સતત ચાર મિનિટ સુધી ચાલી હતી, જે દરમિયાન આખું મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
ખાસ વાત એ છે કે આ સૂર્ય તિલક બરાબર એ જ સમયે થયું જેને ભગવાન રામનો જન્મ સમય માનવામાં આવે છે. આ વર્ષે રામનવમી પર રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનો વિશેષ સંયોગ હોવાને કારણે આ મહોત્સવનું ધાર્મિક મહત્વ અનેકગણું વધી ગયું હતું. આ અલૌકિક ઘટનાને સાકાર કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરના ઉપરના ભાગે વિશેષ રિફ્લેક્ટર, લેન્સ અને અરીસાઓની અદ્યતન સિસ્ટમ ગોઠવવામાં આવી હતી.
સૂર્યના કિરણો લેન્સ દ્વારા બીજા માળે રાખેલા દર્પણ પર પડ્યા અને ત્યાંથી પરાવર્તિત થઈને અંદાજે 75 મિલીમીટરના આકારમાં રામલલાના મસ્તક પર તેજસ્વી તિલક તરીકે દેખાયા હતા. આ ભવ્ય નજારાના સાક્ષી બનવા માટે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જ્યારે કરોડો લોકોએ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ દિવ્ય ક્ષણનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ અગાઉ ત્રણ દિવસ સુધી આ પ્રક્રિયાનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું જેથી કરીને મુખ્ય દિવસે કોઈ ક્ષતિ ન રહી જાય. સૂર્ય તિલકની સાથે જ ભગવાનનો વિશેષ અભિષેક અને શણગાર પણ કરવામાં આવ્યો હતો, જેણે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.