નવસારી કોંગ્રેસમાં મોટું ગાબડું: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 47 પદાધિકારીઓના સામૂહિક રાજીનામા
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ નવસારીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો થયો છે. નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 જેટલા પદાધિકારીઓએ પક્ષના આંતરિક માળખા અને નિમણૂકો સામે નારાજગી વ્યક્ત કરીને એકસાથે રાજીનામા ધરી દેતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે.
મુખ્ય અસંતોષનું કારણ: શહેર પ્રમુખની નિમણૂક
આ સામૂહિક રાજીનામા પાછળનું મુખ્ય કારણ શહેર કોંગ્રેસ પ્રમુખની નવી નિમણૂક હોવાનું સામે આવ્યું છે. રાજીનામું આપનારા પદાધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે, નવા નિમણૂક પામેલા શહેર પ્રમુખ અગાઉ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. ભૂતકાળની ચૂંટણીઓમાં પક્ષના ઉમેદવારોને હરાવવા માટે તેમણે સક્રિય પ્રયાસો કર્યા હતા. ત્યારે તેમની નિમણુક રાજીનામાનું કારણ બની હોવાનું ચર્ચામાં છે.
કોણે કોણે આપ્યા રાજીનામા?
આ રાજીનામાના દોરમાં પક્ષના પાયાના અને ઉચ્ચ હોદ્દા પર રહેલા કાર્યકરો સામેલ છે, જેમાં:
પ્રદેશ મંત્રી અને મહામંત્રીઓ
વિવિધ વોર્ડના પ્રમુખો
જિલ્લા અને શહેર સંગઠનના અગ્રણીઓ
આ તમામ 47 પદાધિકારીઓએ પોતાના રાજીનામા ઈમેલ મારફતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને મોકલી આપ્યા છે.
ચૂંટણી પર અસર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે માથે છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં પદાધિકારીઓનું છૂટા થવું એ કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન સાબિત થઈ શકે છે. એક તરફ ભાજપમાં પણ આંતરિક ખેંચતાણ ચર્ચામાં છે, ત્યારે કોંગ્રેસનો આ ડખો વિપક્ષ માટે રણનીતિ ઘડવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે પ્રદેશ નેતૃત્વ આ અસંતોષને ઠારવામાં સફળ રહે છે કે પછી નવસારીમાં કોંગ્રેસ વધુ નબળી પડશે.