અમદાવાદમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે કેમ્પ હનુમાનની શોભાયાત્રાનું પ્રસ્થાન
અમદાવાદના શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર સુદ ચૌદસના રોજ યોજાનારી આ ઐતિહાસિક શોભાયાત્રાને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહીને પ્રસ્થાન કરાવશે. ગુરુવારે જન્મોત્સવના મુખ્ય દિવસે મંદિરમાં મહાપ્રસાદ અને મારુતિ યજ્ઞ સહિતના આકર્ષક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામૂહિક હનુમાન ચાલીસા અને પ્રસ્થાન
કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ચૈત્ર સુદ ચૌદસના દિવસે સવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હનુમાન દાદાની વિશેષ આરતી ઉતારશે. ત્યારબાદ ભક્તો સાથે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી તેઓ આ વિશાળ શોભાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. આ પવિત્ર પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ સુધીર નાણાવટી સહિતના અગ્રણીઓ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.
30 ટ્રકો, 200 બુલેટ સવારો અને 'ઓપરેશન સિંદૂર' ટેબ્લો બનશે આકર્ષણ
આ વર્ષની શોભાયાત્રામાં અનેક નવીન અને ભવ્ય વિશેષતાઓ જોવા મળશે. યાત્રામાં 'ઓપરેશન સિંદૂર' નો વિશેષ ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત ભજન મંડળી અને સુશોભિત 30 જેટલી ટ્રકો, દાદાની વિશાળ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક ભક્તોમાં જમાવટ કરશે. યાત્રામાં 200 થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર પણ જોડાશે. શ્રદ્ધાળુઓના ઉત્સાહને વધારવા યાત્રાના સમગ્ર રૂટ પર 50 થી વધુ સ્વાગત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સાંજે 5:30 કલાકે યાત્રા નિજ મંદિરે ફરશે
આ ભવ્ય શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરેથી શરૂ થઈને શાહીબાગ અંડરબ્રિજ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, ગાંધી બ્રિજ, આશ્રમ રોડ અને પાલડી થઈને વાયુદેવતાના મંદિરે પહોંચશે, જ્યાં વિરામ લેવામાં આવશે. ત્યાંથી આગળ વધીને અંજલી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈને સાંજે 5:30 કલાકે યાત્રા પરત નિજ મંદિરે પહોંચશે. શહેર પોલીસ દ્વારા યાત્રાના રૂટ પર ટ્રાફિક અને સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ગુરુવારે જન્મોત્સવના મુખ્ય દિવસે 101 કિલો માવાનો હલવો ધરાવાશે
હનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિરમાં વહેલી સવારથી જ મંગળા આરતી સાથે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. હનુમાનજીને વિશેષ ફૂલોના શણગાર સાથે 101 કિલો માવાનો હલવો પ્રસાદ તરીકે ધરાવવામાં આવશે. સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞ અને 11 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે. આ ઉત્સવમાં આવનારા તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન મંદિરમાં સુંદરકાંડના પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.