અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યુદ્ધવિરામ થઈ શકે? પાકિસ્તાની સૂત્રોના હવાલે દાવો, અસીમ મુનીર કરી રહ્યા છે મધ્યસ્થતા
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ માટે એક મહત્ત્વનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોના હવાલે આ માહિતી આપી છે. એક સૂત્રે દાવો કર્યો છે કે ઈરાન અને અમેરિકાને દુશ્મની સમાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ મળ્યો છે, જે સોમવારથી જ અમલમાં આવી શકે છે અને હોર્મુઝ જળસંધિને ફરીથી ખોલી શકે છે.
પાકિસ્તાને દુશ્મની ખતમ કરવા માટે એક રૂપરેખા તૈયાર કરી છે જેને આખી રાત ઈરાન અને અમેરિકા સાથે શેર કરવામાં આવી છે. આ રૂપરેખામાં બે-સ્તરીય અભિગમનો પ્રસ્તાવ છે, જેમાં તાત્કાલિક યુદ્ધવિરામ પછી વ્યાપક સમજૂતીનો સમાવેશ થાય છે.
રોયટર્સે આગળ દાવો કર્યો છે કે "તમામ મુદ્દાઓ પર આજે જ સહમતી બની જવી જોઈએ" અને શરૂઆતી સહમતીને 'સમજૂતી જ્ઞાપન' તરીકે તૈયાર કરવામાં આવશે જેને પાકિસ્તાનના માધ્યમથી ઈલેક્ટ્રોનિક રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આવું એટલા માટે કારણ કે આ વાતચીતમાં સંચારનું એકમાત્ર માધ્યમ પાકિસ્તાન જ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે આજે યુદ્ધવિરામ થઈ શકે?
તે પહેલાં એક્સિયોસે રવિવારે સૌપ્રથમ આ અહેવાલ આપ્યો હતો કે અમેરિકા, ઈરાન અને ક્ષેત્રીય મધ્યસ્થો 45 દિવસીય સંઘર્ષ-વિરામ પર ચર્ચા કરી રહ્યા છે. આ બે-તબક્કાની સમજૂતીનો ભાગ છે જેના પરિણામે યુદ્ધનો સ્થાયી અંત થઈ શકે છે.
સૂત્રોના હવાલે રોયટર્સે જણાવ્યું છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર "પૂરી રાત" અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે સંપર્કમાં રહ્યા હતા.
પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવમાં શું છે?
- તુરંત યુદ્ધવિરામ અમલમાં આવશે અને હોર્મુઝ જળસંધિ ફરી ખુલી જશે.
- વ્યાપક સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે 15-20 દિવસનો સમય મળશે.
- આ સમજૂતીને અસ્થાયી રીતે "ઈસ્લામાબાદ સમજૂતી" નામ આપવામાં આવ્યું છે.
- તેમાં જળસંધિ માટે ક્ષેત્રીય માળખું સામેલ હશે અને અંતિમ આમને-સામને વાતચીત ઈસ્લામાબાદમાં થશે.
જો કે અમેરિકા અને ઈરાનના અધિકારીઓ તરફથી આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ પણ આ વિશે ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે.
ઈરાનના અધિકારીઓએ પહેલાં રોયટર્સને જણાવ્યું હતું કે તેહરાન સ્થાયી યુદ્ધવિરામ ઇચ્છે છે જેમાં અમેરિકા અને ઇઝરાયેલ તરફથી ફરી હુમલો ન થાય તેની ગેરંટી પણ હોય. તેમણે એ પણ કહ્યું કે ઈરાનને પાકિસ્તાન, તુર્કી અને મિસર જેવા મધ્યસ્થો તરફથી સંદેશા મળ્યા છે.
સૂત્રો અનુસાર અંતિમ સમજૂતીમાં ઈરાન તરફથી પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ ન કરવાની પ્રતિબદ્ધતા સામેલ થવાની સંભાવના છે. તેના બદલામાં તેને પ્રતિબંધોમાંથી રાહત અને જપ્ત કરેલી સંપત્તિઓ પાછી મળી શકે છે.
શું ઈરાન પાકિસ્તાનની મધ્યસ્થતા સ્વીકારશે?
રોયટર્સે બે પાકિસ્તાની સૂત્રોના હવાલે જણાવ્યું છે કે ઈરાને સિવિલિયન અને મિલિટરી તરફથી વધુ પ્રયાસો છતાં હજુ સુધી કોઈ વચન આપ્યું નથી. એક સૂત્રે કહ્યું કે "ઈરાને હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી" અને પાકિસ્તાન, ચીન અને અમેરિકાના અસ્થાયી યુદ્ધવિરામ પ્રસ્તાવો પર હજુ સુધી કોઈ વચન આપવામાં આવ્યું નથી.