ચાંદખેડા ભાજપમાં ભભૂકતો અસંતોષ : '30 વર્ષથી ભાજપમાં છીએ અમને કાઈ ન મળ્યું ?' કહી કાર્યકર્તાઓએ કાઢ્યો બળાપો...

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનમાં ભડકો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી પક્ષની અંદર ધૂંધવાઈ રહેલો અસંતોષ હવે સપાટી પર આવ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. મામલો વધુ વણસે નહીં તે હેતુથી પક્ષના અગ્રણીઓ દ્વારા એક ખાનગી સ્થળે ગુપ્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમાધાનને બદલે આ બેઠક અસંતોષનું કેન્દ્ર બની ગઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નેતાઓની હાજરીમાં જ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો અને સંગઠનની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
ખાસ કરીને જૂના અને પાયાના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આક્રોશ વ્યક્ત કરતા કાર્યકર્તાઓએ નેતાઓને મોઢામોઢ સંભળાવ્યું હતું કે, "અમે છેલ્લા 30 વર્ષથી પક્ષ માટે પરસેવો પાડી રહ્યા છીએ અને રાત-દિવસ જોયા વગર ભાજપને મજબૂત કરવા માટે વફાદારીપૂર્વક કામ કર્યું છે, તેમ છતાં અમને બદલામાં કશું જ મળ્યું નથી." આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પક્ષમાં વર્ષોથી કાર્યરત સભ્યોની અવગણના કરીને નવા આવેલા કે માનીતા લોકોને જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. 
આ વીડિયોમાં કાર્યકર્તાઓ પક્ષના હોદ્દેદારો સામે આંગળી ચીંધીને પોતાની વેદના ઠાલવતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખાનગી બેઠકમાં થયેલો આ હંગામો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આ પ્રકારે પાયાના કાર્યકર્તાઓનું બળવો કરવો એ આવનારી ચૂંટણીઓ કે સંગઠનલક્ષી ફેરફારો માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલ તો આ મામલે પક્ષના ઉચ્ચ નેતાઓ મૌન સેવી રહ્યા છે, પરંતુ ચાંદખેડા ભાજપમાં સર્જાયેલી આ તિરાડને રોકવા માટે આગામી દિવસોમાં મોટા નિર્ણયો લેવા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.