"અફવાઓથી ગેરમાર્ગે ન દોરાશો": પેટ્રોલ-ડીઝલની અછત અંગે રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને આપી ખાતરી...
રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ હોવાના અહેવાલો વહેતા થતા સ્થાનિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે, આ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા રાજકોટના જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપી છે કે જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની તંગી નથી. હાલમાં ખાનગી કંપનીઓ જેવી કે ન્યારા અને રિલાયન્સ દ્વારા સીધો જથ્થો લેનારાઓ માટે ભાવમાં પ્રતિ લીટરે 22 રૂપિયા જેવો ધરખમ વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે બલ્ક ખરીદદારોનો ભાર રિટેલ આઉટલેટ્સ પર પડ્યો છે. વધુમાં, ખાનગી પંપો પર જથ્થાની અનિયમિતતાને લીધે ગ્રાહકોનો ધસારો સરકારી પેટ્રોલ પંપો તરફ વળ્યો હોવાથી અછત જેવી સ્થિતિ દેખાઈ રહી છે, પરંતુ વાસ્તવમાં સપ્લાય ચેઈન સંપૂર્ણપણે કાર્યરત છે.
કલેક્ટર ડો. ઓમ પ્રકાશે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 264 અને શહેરના 97 મળીને કુલ 361 પેટ્રોલ પંપો હાલમાં ધમધમી રહ્યા છે. તેલ કંપનીઓ દ્વારા નિયમિત રીતે પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાથી નાગરિકોએ ખોટી અફવાઓથી દોરાઈને કે ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની કોઈ જરૂર નથી. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી માહિતીને કારણે બિનજરૂરી ગભરાટ ઉભો થયો છે, જે ઈંધણની કૃત્રિમ માંગ વધારે છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે, જેથી લોકોએ કોઈ પણ જાતની મુંઝવણ રાખ્યા વગર શાંતિ જાળવવી જોઈએ તેવી કલેક્ટર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.