ચાહકોની પ્રાર્થના ફળી: સોનિયા ગાંધી સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા
કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સોનિયા ગાંધીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળતા તબીબોએ તેમને આજે સવારે ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય લીધો હતો. આ સમાચારથી કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. સર ગંગા રામ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપે સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, સોનિયા ગાંધીના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે અને તેમની શારીરિક સ્થિતિ હવે સંપૂર્ણપણે સામાન્ય છે.
આ જ કારણસર તેમને હોસ્પિટલમાંથી રજા આપીને હવે ઘરે જ આરામ અને જરૂરી ફોલો-અપ કરવાની સલાહ આપવામાં આવી છે. સોનિયા ગાંધીને શરીરમાં સિસ્ટમિક ઈન્ફેક્શન જણાતા તેમને એન્ટિબાયોટિક્સ દ્વારા સારવાર આપવામાં આવી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, આ સારવારની તેમની પર ખૂબ જ પોઝિટિવ અસર જોવા મળી હતી. નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેમની રિકવરી પર સતત દેખરેખ રાખવામાં આવી હતી, જેના પરિણામે તેઓ ઝડપથી સ્વસ્થ થયા છે.
ઉલ્લેખનીય છે કે, 24 માર્ચની રાત્રે અચાનક તબિયત લથડતા સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ડૉ. ડી.એસ. રાણા, ડૉ. એસ. નંદી અને ડૉ. અરૂપ બાસુ જેવા નામાંકિત ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ પ્રદૂષણને કારણે અસ્થમાની ગંભીર સમસ્યા ઊભી થતા સોનિયા ગાંધીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
હિમાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન પણ તેમની તબિયત અચાનક બગડી હતી. અગાઉ 11 જાન્યુઆરીએ પણ તેમને લાંબી સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ હવે સોનિયા ગાંધી ઘરે જ આરામ કરશે. તબીબોએ તેમને પ્રદૂષણથી બચવા અને દવાઓનો કોર્સ પૂર્ણ કરવાની કડક સૂચના આપી છે. સોનિયા ગાંધીના ઘરે પરત ફરવાના સમાચાર મળતા જ અનેક દિગ્ગજ નેતાઓએ તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.