રામાયણમાં 'હનુમાન' બનીને 9 કલાક ભૂખ્યા રહીને શૂટિંગ કરતા હતા દારા સિંહ, લાંબી પૂંછડી માટે ખાસ સ્ટૂલ બનાવવો પડ્યો હતો
રામાનંદ સાગરના ઐતિહાસિક ધાર્મિક સિરિયલ 'રામાયણ'માં ભગવાન હનુમાનનો કિરદાર નિભાવીને દારા સિંહ અમર થઈ ગયા હતા. તેમણે પોતાના કિરદારને એટલી શિદ્દતથી નિભાવ્યો હતો કે ઘર-ઘરમાં તેઓ હનુમાનના રોલમાં જ ઓળખાતા થઈ ગયા હતા.
દારા સિંહ માટે રામાયણ સિરિયલ કોઈ સંજીવની બૂટી કરતાં ઓછી નહોતી, પરંતુ શોનું શૂટિંગ તેમના માટે સરળ નહોતું. દારા સિંહનું સમર્પણ જ તેમને 9-9 કલાક સુધી ભૂખ્યા રહેવા મજબૂર કરતું હતું.
'હનુમાન'ના મેકઅપમાં લાગતા હતા કલાકો
રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે લેહરનને આપેલા ઇન્ટરવ્યુમાં રામાયણના સેટની વાતો શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દારા સિંહનો હનુમાન લુક કોઈ પ્રોસ્થેટિક્સનો નહોતો. આ મેકઅપનો જ કમાલ હતો. આ લુક માટે દારા સિંહને 3થી 4 કલાક સુધી મેકઅપ કરાવવો પડતો હતો.
પ્રેમ સાગરે કહ્યું હતું, "તેમનો મેકઅપ કરવામાં લગભગ ત્રણથી ચાર કલાક લાગી જતા. તે સમયે પ્રોસ્થેટિક્સ નહોતા અને અમારે તેમના લુકને હનુમાનજી જેવો જ બનાવવાનો હતો."
'હનુમાન'ની પૂંછડી માટે ખાસ સ્ટૂલ બનાવવો પડ્યો
દારા સિંહ માટે સેટ પર એક ખાસ સ્ટૂલ પણ બનાવવામાં આવ્યો હતો અને તેનું કારણ હતી તેમની લાંબી પૂંછડી. વાસ્તવમાં, પૂંછડી સાથે સામાન્ય ખુરશી પર બેસવું મુશ્કેલ બની જતું હતું. આ અંગે પ્રેમ સાગરે જણાવ્યું હતું કે, "પછી તેમની પૂંછડીની વાત આવે છે. જો તેમણે પૂંછડી લગાવી હોય તો તેઓ બેસશે ક્યાં? તેમના માટે એક ખાસ સ્ટૂલ બનાવવામાં આવ્યો હતો, જેમાં એક કટ લગાવેલો હતો, જેથી તેઓ પૂંછડી લગાવેલી હોવા છતાં પણ આરામથી બેસી શકે."
9 કલાક સુધી ભૂખ્યા રહેતા હતા દારા સિંહ
પ્રેમ સાગરે આગળ જણાવ્યું હતું કે, "એક વખત જ્યારે તેમના ચહેરા પર સાંચો (મોલ્ડ) લગાવી દેવામાં આવતો ત્યારે તેઓ ખાણું કેવી રીતે ખાય? અને મેકઅપ શૂટિંગ શરૂ થવાથી ત્રણ કલાક પહેલાં જ કરી દેવામાં આવતો. આ રીતે લગભગ આઠથી નવ કલાક સુધી તેઓ કંઈ જ ખાઈ-પી શકતા નહોતા. આ જ તેમનું સમર્પણ હતું."