બાબરાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીનનો વિવાદ : બે પક્ષે મારામારી બાદ સારવારમાં વૃદ્ધનું મોત
અમરેલીના બાબરા પંથકમાં જમીન વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગૌચરની જમીન પર ખેતી કરવા જેવી બાબતે બે પક્ષો વચ્ચે થયેલી લાકડીધારી મારામારીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક વૃદ્ધે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. આ ઘટનાને પગલે શાંત ગણાતા ગ્રામ્ય વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે.
બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે ગૌચરની જમીન પર ખેતી કરવાના મુદ્દે થયેલી જૂથ અથડામણે ગંભીર વળાંક લીધો છે. ગત 02 દિવસ પહેલા થયેલી હિંસક મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા બાબભાઈ ખાચર નામના વૃદ્ધનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પોલીસે હવે સામાન્ય મારામારીના ગુનાને હત્યાના ગુનામાં તબદીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ગામની ગૌચરની જમીનનો ઉપયોગ કરવા બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. વાત ઉગ્ર બોલાચાલીથી શરૂ થઈને લાકડીઓ ઉછળવા સુધી પહોંચી હતી. આ હિંસક ઝઘડામાં સામા પક્ષે બાબભાઈ ખાચર પર લાકડીઓ વડે આડેધડ હુમલો કર્યો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ લોહી વધુ વહી જવાથી અને ઊંડી ઈજાઓને કારણે તેઓ જીવી શક્યા નહોતા.
પોલીસની કાર્યવાહી અને આરોપીની શોધખોળ:
વૃદ્ધના મૃત્યુના સમાચાર મળતા જ બાબરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી રમેશ ગોરધન સોલંકી વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગૌચરની જમીન પર ગેરકાયદે ખેતી કે દબાણના વિવાદમાં થયેલી આ હત્યાએ સ્થાનિક તંત્રના દબાણ હટાવવાની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આરોપી રમેશ સોલંકીને પકડવા માટે વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે.
વૃદ્ધના અવસાનથી પરિવારમાં માતમ છવાયો છે અને ગ્રામજનોમાં આરોપી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.