'તખ્ત' નહિ થાય રિવાઈવ! કરન જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ પર લાગ્યું ગ્રહણ
બોલિવૂડના દિગ્ગજ નિર્માતા-નિર્દેશક કરન જોહરે તેમના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી ફિલ્મ ‘તખ્ત’ને લઈને મોટું નિવેદન આપ્યું છે. કરણે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ મેગ્નમ ઓપસ ફિલ્મને ફરી શરૂ કરવાનો કે રિવાઈવ કરવાનો તેમનો કોઈ જ ઈરાદો નથી. મુઘલ સામ્રાજ્યના ઇતિહાસ પર આધારિત આ ફિલ્મ વર્ષોથી ઠંડા બસ્તામાં છે અને હવે તે ક્યારેય પડદા પર આવશે કે કેમ તે પ્રશ્નાર્થ છે.
એક તાજેતરની વાતચીતમાં કરન જોહરે ભાવુક થતા જણાવ્યું હતું કે, "આ ફિલ્મ માટે મારી કારકિર્દીનો સૌથી શ્રેષ્ઠ અને પરફેક્ટ સ્ક્રીનપ્લે તૈયાર કરવામાં આવ્યો હતો. મેં આ પ્રોજેક્ટ પાછળ ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેને રિવાઈવ કરવાનો મારો કોઈ પ્લાન નથી." ઉલ્લેખનીય છે કે, કરન જોહરે વર્ષ 2018માં આ ફિલ્મની જાહેરાત કરી હતી અને તે 2021માં રિલીઝ થવાની હતી.
જેમાં ઔરંગઝેબની મુખ્ય ભૂમિકામાં રણવીર સિંહ, દારા શિકોહની ભૂમિકામાં વિકી કૌશલ આ ઉપરાંત આલિયા ભટ્ટ, કરીના કપૂર ખાન, જાહ્નવી કપૂર, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર જેવા દિગ્ગજોના નામ જાહેર કરાયા હતા. ઔરંગઝેબના પાત્રને કારણે તે સમયે દેશમાં સર્જાયેલી રાજકીય સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરણે આ પ્રોજેક્ટ મોકૂફ રાખ્યો હતો.ત્યારબાદ કોરોના લોકડાઉન અને બોલિવૂડમાં બદલાતા બિગ બજેટ ફિલ્મોના વલણને કારણે આ ફિલ્મ સતત પાછી ઠેલાતી રહી. અને હવે અંતે કરને આ પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મૂકી દીધું હોય તેવું લાગી રહ્યું છે.