નક્સલવાદ સામે અંતિમ પ્રહાર: 10 વર્ષમાં 10,000 થી વધુ નક્સલીઓની શરણાગતિ
ભારત માટે લાંબા સમયથી આંતરિક સુરક્ષાનો મોટો પડકાર ગણાતા નક્સલવાદને નાબૂદ કરવા કેન્દ્ર સરકાર 'ઝીરો ટોલરન્સ' ની નીતિ પર આગળ વધી રહી છે. સુરક્ષા દળોના વધતા દબાણ અને સરકારના પુનર્વસન પ્રયાસોને કારણે હવે નક્સલીઓ હથિયાર હેઠા મૂકી મુખ્યધારામાં ભળી રહ્યા છે. વિકાસ અને સુરક્ષાના સમન્વયથી દાયકાઓ જૂની આ હિંસક વિચારધારાને સમાપ્ત કરવાની અંતિમ લડાઈ તેજ બની છે.
દેશમાં સૌથી લાંબા સમયથી ચાલી રહેલા વિદ્રોહ એવા નક્સલવાદને મોટો આંચકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ડેડલાઇન મુજબ, દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે 31 માર્ચ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા 10 વર્ષોમાં 10,000 થી વધુ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને નક્સલવાદનું ટોચનું નેતૃત્વ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આત્મસમર્પણના આંકડામાં મોટો ઉછાળો:
નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વર્ષ 2025 ખૂબ જ મહત્વનું રહ્યું હતું, જેમાં 2,300 થી વધુ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી હતી. આ સિલસિલો વર્ષ 2026 માં પણ જારી રહ્યો છે, જેમાં માત્ર પ્રથમ ત્રણ મહિનામાં જ 630 થી વધુ નક્સલીઓ હથિયાર છોડી ચૂક્યા છે. વર્ષ 2014 થી અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો, સુરક્ષા દળોની પકડ મજબૂત થતા વિદ્રોહીઓમાં ડર અને સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.
વિકાસ અને સુરક્ષાની બહુઆયામી રણનીતિ:
સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, નક્સલવાદ વિરુદ્ધ એકીકૃત અને નિર્ણાયક રણનીતિ અપનાવવામાં આવી છે. એક સમયે બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી ફેલાયેલા 'રેડ કોરિડોર' માં હવે વિકાસની લહેર જોવા મળી રહી છે.
જે વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો કામ કરતા ડરતા હતા, ત્યાં સરકારે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનને કામ સોંપ્યું છે. પીએલજીએ (PLGA) ના મુખ્ય ગઢ ગણાતા વિસ્તારોમાં 05 મુખ્ય સડકો અને 06 મહત્વપૂર્ણ પુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ માળખાગત સુવિધાઓને કારણે સુરક્ષા દળોની પહોંચ નક્સલીઓના અંતરિયાળ ઠેકાણાઓ સુધી સરળ બની છે, જેના પરિણામે હિંસામાં મોટો ઘટાડો નોંધાયો છે.