નસવાડીના નારધાના જંગલોમાં ભભૂકી આગ: હજારો વૃક્ષો બળીને ખાખ, વન વિભાગની કામગીરી સામે સવાલ
છોટાઉદેપુરના ડુંગરાળ વન વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા કુદરતી સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે. જંગલના ઊંડાણપૂર્વકના વિસ્તારોમાં પ્રસરેલી આ આગને કારણે વન્યજીવો અને વનસ્પતિ પર જોખમ તોળાઈ રહ્યું છે, જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામની સીમમાં જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં રવિવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પવનની તેજ ગતિને કારણે ડુંગરો પર લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે દુર-દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
પર્યાવરણ અને વન્યજીવો પર સંકટ:
આ ભીષણ આગમાં જંગલના નાના-મોટા હજારો વૃક્ષો અને અમૂલ્ય વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે. જંગલ વિસ્તારમાં વસતા વન્યજીવોના આશ્રયસ્થાનો છીનવાઈ જવાની અને તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. જો પવનની દિશા રહેણાંક વિસ્તારો તરફ જશે તો આસપાસના ગામો અને ખેતરોમાં પણ નુકસાન થવાની શક્યતા છે.
તંત્રની ઉદાસીનતા સામે રોષ
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે આગ લાગ્યાના કલાકો વીતી ગયા હોવા છતાં વન વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. અવારનવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે વન સંપત્તિનો સોથ વળી રહ્યો છે.
હાલમાં પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે વહેલી તકે આગને ઓલવવાના પ્રયાસો હાથ ધરવા માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.