શું તમે પણ સ્ટીકર જોઈને ફળ ખરીદો છો? સ્ટીકર પરના કોડમાં છુપાયેલું છે તમારા સ્વાસ્થ્યનું રહસ્ય, ખરીદતા પહેલા આટલું ચેક કરો
બજારમાં જ્યારે આપણે ફળ ખરીદવા જઈએ છીએ, ત્યારે સફરજન કે નારંગી પર લાગેલા નાના ચમકતા સ્ટીકર્સ જોઈને આપણને લાગે છે કે આ ફળ એકદમ તાજું અને ઉચ્ચ ગુણવત્તાનું હશે. મોટાભાગના લોકો આ સ્ટીકરને માત્ર બ્રાન્ડિંગ કે કિંમત દર્શાવવાનું સાધન માનીને અવગણે છે, પરંતુ શું તમે જાણો છો કે આ નાનકડું સ્ટીકર તમારા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે? હકીકતમાં, આ સ્ટીકર પર લખેલા 4 કે 5 આંકડાના કોડ એ માત્ર નંબર નથી, પણ તે ફળની આખી કુંડળી છે. આ કોડ, જેને Price Look-Up કહેવામાં આવે છે, તે આપણને જણાવે છે કે તમે જે ફળ ખાઈ રહ્યા છો તે કુદરતી રીતે ઉગ્યું છે, કેમિકલના સહારે પકવવામાં આવ્યું છે કે પછી તેના બીજમાં લેબોરેટરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
સફરજન, કેળા કે નારંગી જેવા ફળો પર લાગેલા નાના રંગીન સ્ટીકર્સ આપણું ધ્યાન ખેંચે છે. ઘણા લોકો તેને 'શુદ્ધતા' કે બ્રાન્ડિંગની નિશાની માનીને અવગણે છે, પરંતુ હકીકતમાં આ સ્ટીકર્સ તમારા સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. આ કોડ દ્વારા જાણી શકાય છે કે ફળને ઉગાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જો સ્ટીકર પર 4 અંકનો કોડ હોય અને તેની શરૂઆત 3 અથવા 4 નંબરથી થતી હોય, તો તેનો અર્થ એ છે કે આ ફળ પરંપરાગત ખેતી દ્વારા ઉગાડવામાં આવ્યું છે. એટલે કે, તેને તૈયાર કરવામાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો પુષ્કળ ઉપયોગ થયો છે, માટે તેને ખાતા પહેલા બરાબર ધોવા જરૂરી છે. સ્વાસ્થ્ય માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ ફળ તે છે જેના સ્ટીકર પર 5 અંકનો કોડ હોય અને તેની શરૂઆત 9 નંબરથી થતી હોય.
ભલે આ ફળો કિંમતમાં થોડા મોંઘા હોય, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે સૌથી વધુ ગુણકારી અને સુરક્ષિત માનવામાં આવે છે.બીજી તરફ, જો 5 અંકના કોડની શરૂઆત 8 નંબરથી થતી હોય, તો ગ્રાહકોએ સાવધ રહેવાની જરૂર છે. આ નંબરનો અર્થ એ છે કે ફળ 'જીનેટિકલી મોડિફાઈડ' છે. એટલે કે, લેબોરેટરીમાં તેના બીજમાં ફેરફાર કરીને તેને ઉગાડવામાં આવ્યું છે જેથી તે દેખાવમાં આકર્ષક લાગે અને જલ્દી બગડે નહીં. આવા ફળો કુદરતી હોતા નથી અને લાંબા ગાળે સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
જોકે, ભારતીય બજારમાં આવા ફળોનું પ્રમાણ હાલમાં ઓછું જોવા મળે છે. માત્ર સ્ટીકર હોવું એ જ શુદ્ધતાની ગેરંટી નથી. ઘણીવાર સ્થાનિક વેપારીઓ ગ્રાહકોને છેતરવા માટે સાદા ફળો પર નકલી સ્ટીકરો લગાવી દેતા હોય છે અથવા ઓર્ગેનિક ફળો પરથી સ્ટીકર કાઢી નાખતા હોય છે. ગ્રાહકોએ જાગૃત બનીને માત્ર સ્ટીકરની ચમક પર ન જતાં, તેના પર લખેલા અંકોને વાંચવાની આદત કેળવવી જોઈએ.
જો ફળ પર કોઈ સ્ટીકર ન હોય, તો તેનો અર્થ એ નથી કે તે કેમિકલ મુક્ત છે, તે સામાન્ય રીતે પકવેલું ફળ હોઈ શકે છે. ફળ ખાતા પહેલા તેને નવશેકા ગરમ પાણીમાં મીઠું નાખીને ધોવા જોઈએ. આનાથી ફળની સપાટી પર રહેલા જંતુનાશકો અને કેમિકલના અંશો દૂર થાય છે. આજના પ્રદૂષિત યુગમાં જ્યારે કેમિકલયુક્ત ખોરાક વધી રહ્યો છે, ત્યારે આ નાની સાવચેતી પરિવારને મોટી બીમારીઓથી બચાવી શકે છે. હંમેશા 9 નંબરથી શરૂ થતા 5 અંકના કોડવાળા ફળોને પ્રાધાન્ય આપીને 'સ્વસ્થ ભારત'ના અભિયાનમાં સહભાગી બનો