દર વર્ષે ફેલ થાય છે ખાદ્ય સેમ્પલ, ફૂડ ક્વોલિટીમાં ભારત 80મા સ્થાને; કેમ નથી રોકાતી મિલાવટખોરી?
ભારતમાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ રોકવાનું નામ લેતી નથી. સરકારનો દાવો છે કે મિલાવટખોરી સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવી છે, પરંતુ તપાસ એજન્સીઓની વાર્ષિક રિપોર્ટ જુદી જ વાર્તા કહે છે.
કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI)એ વર્ષ 2024-25માં કુલ 1.70 લાખ ખાદ્ય સેમ્પલની તપાસ કરી. આમાંથી 17.6% સેમ્પલ તપાસમાં નિષ્ફળ નીકળ્યા. સૌથી વધુ 38% દૂધના સેમ્પલ ફેલ થયા. આ આંકડા ભારતમાં મિલાવટની વાસ્તવિકતા સ્પષ્ટ દર્શાવે છે.
વિશ્વમાં ભારતનું સ્થાન
‘ગ્લોબલ ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ-2022’ અનુસાર ખાદ્ય ગુણવત્તામાં ભારત વિશ્વમાં 80માં સ્થાને છે, જ્યારે કેનેડા પ્રથમ અને અમેરિકા બીજા સ્થાને છે.
મુખ્ય પડકારો
ભારત સામે મિલાવટ રોકવાના 4 મુખ્ય પડકારો છે:
લૂઝ (ખુલ્લી) વેચાણ: દેશમાં 70% ખાદ્ય પદાર્થો ખુલ્લામાં વેચાય છે (70% દૂધ અને 65% મસાલા). અમેરિકામાં 99% દૂધ પેકમાં વેચાય છે, જેથી ટ્રેકિંગ સરળ બને છે.
સેલ્ફ-ડિક્લેરેશન: કંપનીઓ પોતાની જાતે જ ઉત્પાદન વેચી શકે છે. લેબ રિપોર્ટ આવે તે પહેલાં માલ વેચાઈ જાય છે.
કર્મચારીઓની અછત અને વર્કલોડ: ડિઝિગ્નેટેડ ઓફિસર (DO)ના 16% અને ફૂડ સેફ્ટી ઓફિસર (FSO)ના 35% પદ ખાલી છે. એક અધિકારી પર સરેરાશ 2200 ફર્મ્સની જવાબદારી છે (કેનેડામાં માત્ર 50).
લેબ નેટવર્કની કમજોરી: દેશમાં માત્ર 252 અધિસૂચિત ફૂડ ટેસ્ટિંગ લેબ છે. લગભગ 62 લાખ લોકો પર એક લેબ આવે છે.
વિદેશમાં કેવું છે સિસ્ટમ?
કેનેડા: દર વર્ષે 300 પ્રોડક્ટ માર્કેટમાંથી પાછા ખેંચવામાં આવે છે. દરેક પ્રોડક્ટનો ડિજિટલ ડેટા ઉપલબ્ધ હોય છે.
અમેરિકા: એક વ્યક્તિ પણ ખાદ્ય પદાર્થથી બીમાર થાય તો 24 કલાકમાં તેને બજારમાંથી હટાવવું પડે છે.
ચીન: મિલાવટ પર ઉમરકેદ અથવા ફાંસીની સજા. 2009માં બાળકોના દૂધમાં મેલેમાઇન મિલાવનાર બે આરોપીઓને ફાંસી આપવામાં આવી હતી.
નોર્વે: ગોદામોમાં સેન્સરથી નિરીક્ષણ. તાપમાન 2 ડિગ્રીથી વધે તો આખો બેચ રિજેક્ટ.
આયર્લેન્ડ: દરેક પશુને ‘બર્થ સર્ટિફિકેટ’ અને ‘ઈયર ટેગ’ આપવામાં આવે છે.
નેધરલેન્ડ્સ: ખેતી પહેલાં માટીનું DNA ટેસ્ટ. હેવી મેટલ મળે તો ખેતર સીલ કરી દેવામાં આવે છે.