ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 'જય ચામુંડા'ના નાદથી ગુંજી ઉઠ્યું ઝાલાવાડ
ઝાલાવાડના આકાશમાં આજે 'જય ચામુંડા'ના નાદ સાથે ભક્તિ, શક્તિ અને એકતાનો અદભૂત ત્રિવેણી સંગમ રચાયો હતો. ચોટીલા ડુંગરની છઠ્ઠી પરિક્રમામાં આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હોય તેમ, દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં ચામુંડાના સાનિધ્યમાં ડુંગરની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. ધર્મસભા, રક્તદાન કેમ્પ અને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે યોજાયેલી આ પરિક્રમાએ સમગ્ર પંથકને ભક્તિમય રંગે રંગી દીધો હતો.
ધર્મજાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજિત આ પરિક્રમામાં અંદાજે 1.50 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ 'જય ચામુંડા'ના નાદ સાથે ડુંગરની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી.પરિક્રમાના પ્રારંભ પૂર્વે નવગ્રહ મંદિર ખાતે વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો-મહંતોએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, પરિક્રમા એ માત્ર શારીરિક કવાયત નથી પરંતુ આત્મશુદ્ધિ અને સામાજિક સંગઠનનું પર્વ છે, સંતોએ હિન્દુ સમાજને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી સંગઠિત થવા હાકલ કરી હતી.
આ પ્રસંગે કલાકારોએ ભક્તિ અને રાષ્ટ્રવાદના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રદ્ધાળુઓની સુવિધા માટે સમગ્ર પરિક્રમા પથ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ, શરબત, તરબૂચ અને ચા-પાણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા આયોજિત મહાપ્રસાદનો અંદાજે 30 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો.
પર્યાવરણ જતન અને રક્તદાન જેવી સામાજિક પ્રવૃત્તિઓ આ વર્ષની પરિક્રમામાં પર્યાવરણ અને સમાજસેવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો, વડવાળા સ્કૂલ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ભાવિકોએ 70 બોટલ રક્ત એકત્ર કરી માનવતા મહેકાવી હતી. સમગ્ર ચોટીલા પંથક 'જય માતાજી'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.