April 2, 2026
ગુજરાત

આચારસંહિતા બાદ આવશે નકલી ડોક્ટરો સામે કડક કાયદો, આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત

03:22:00 PM
Save
Apr 2, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">આચારસંહિતા બાદ આવશે નકલી ડોક્ટરો સામે કડક કાયદો</span>, આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની જાહેરાત</strong></p>

રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા નકલી ડોક્ટરો અને લેભાગુ તત્વો સામે રાજ્ય સરકાર હવે કડક કાર્યવાહી કરવાની છે. સુરતમાં આયુર્વેદિક ડોક્ટરો દ્વારા કરાયેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ આવા તત્વો સામે કડક કાયદો લાવવાની અને સઘન તપાસ શરૂ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી છે.

યોગગુરુ પ્રદીપ જોટંગીયા સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો 

કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર આપતા કહેવાતા યોગગુરુ પ્રદીપ જોટંગીયા વિરુદ્ધ સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. ડોક્ટરોનો આરોપ છે કે તેઓ કોઈપણ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેનાથી લોકોના સ્વાસ્થ્યને મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, પ્રદીપ જોટંગીયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાઈ ચૂક્યા છે અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

અંધશ્રદ્ધા ફેલાવી જીવલેણ સારવાર કરતા તત્વો સામે કાર્યવાહી 

રાજ્યમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા દર્દીઓના શરીરમાં સોય ભોંકવી અને દોરા-ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવીને સારવાર કરવામાં આવતી હોવાના વિડીયો પણ સામે આવ્યા છે. આવી જોખમી અને અવૈજ્ઞાનિક સારવારને કારણે ભૂતકાળમાં કેટલાક કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થયા હોવાનું પણ નોંધાયું છે. આરોગ્ય વિભાગે આ બાબતની ગંભીર નોંધ લીધી છે.

આચારસંહિતા બાદ કડક ડ્રાઈવ અને ફરજિયાત રજીસ્ટ્રેશન 

આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખાતરી આપી છે કે, રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવા માટે જરૂરી સુધારા કરશે. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી, તે પૂર્ણ થતાની સાથે જ આવા તત્વો સામે રાજ્યવ્યાપી કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. ઉપરાંત, તમામ આયુર્વેદિક ડોક્ટરો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવશે. કોઈપણ પ્રકારની ડિગ્રી કે નોંધણી વગર પ્રેક્ટિસ કરતા લોકોને હવે બિલકુલ ચલાવી લેવાશે નહીં.

અંધશ્રદ્ધાથી દૂર રહેવા જનતાને અપીલ 

મંત્રીએ સામાન્ય લોકોને પણ જાગૃત રહેવા અપીલ કરતા જણાવ્યું હતું કે, સર્પદંશ જેવી ગંભીર સ્થિતિમાં અંધશ્રદ્ધામાં ફસાવાના બદલે તાત્કાલિક હોસ્પિટલમાં જ સારવાર લેવી જોઈએ અને માત્ર માન્ય લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ જવું. મંત્રીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, તમે ફરિયાદ આપો, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. જેની પાસે ડિગ્રી નથી, તેને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો કોઈ અધિકાર નથી. અમારો વિભાગ આ બાબતે અત્યંત ગંભીર અને પ્રયત્નશીલ છે.