ગેસ સિલિન્ડરનો મોહ છૂટતો નથી? ગુજરાતમાં PNG કનેક્શનની રફ્તાર કાચબા જેવી, 10 દિવસમાં લક્ષ્યાંક અધૂરો.....
ગુજરાતમાં હાલમાં કોમર્શિયલ LPG સિલિન્ડરોની ભારે અછત પ્રવર્તી રહી છે. આ ગંભીર સ્થિતિમાં રાજ્ય સરકાર માત્ર બેઠકો યોજીને 'સબ સલામત' હોવાનો દાવો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતામાં જનતા આજે પણ ગેસના બાટલા માટે કતારોમાં ઊભી રહીને હેરાન થઈ રહી છે. વિપક્ષ અને જનતાનો આક્ષેપ છે કે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવાની સરકારની નીતિને કારણે આ કટોકટી સર્જાઈ છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા આંકડા ચોંકાવનારા છે.
ગુજરાતમાં 1.12 કરોડ ઘરેલું LPG વપરાશકારો છે, જેની સામે છેલ્લા 10 દિવસમાં માત્ર 12,000 કનેક્શનો જ પીએનજીમાં ફેરવી શકાયા છે. જો આ જ ગતિ રહેશે, તો આગામી છ મહિનામાં પણ લક્ષ્યાંક પૂરો થવો અશક્ય જણાય છે. વધુમાં, કોમર્શિયલ કનેક્શનમાં તો સ્થિતિ વધુ કફોડી છે, જેમાં માત્ર 300 કનેક્શન જ PNGમાં ફેરવાયા છે. સરકારે કાળાબજારિયાઓ સામે કડક પગલાં લેવાની વાતો અનેકવાર કરી છે, પરંતુ જમીની સ્તર પર કોઈ નક્કર પરિણામ દેખાતું નથી.
અમદાવાદ જેવા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹4000 થી ₹5000 જેવી ઉંચી કિંમતે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. ગોમતીપુર જેવા વિસ્તારોમાં એજન્સીઓ પાસે 6 થી 7 હજાર સિલિન્ડરનો બેકલોગ છે, બેઠકમાં સરકારે દાવો કર્યો છે કે આગામી 60 દિવસમાં 11,000 થી વધુ કનેક્શન આપવામાં આવશે અને કુલ 50,000 કનેક્શન આપવાનો લક્ષ્યાંક છે. આ માટે હોસ્પિટલ અને સ્કૂલ જેવી સંસ્થાઓને પ્રાથમિકતા અપાશે.
સપ્લાય ચેઈન પર નજર રાખવા માટે મુખ્ય સચિવ અને જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં કમિટીઓની રચના કરવામાં આવી છે.શરૂ કરાયેલી હેલ્પલાઇન પર માત્ર 15 દિવસમાં 10,000 થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ આંકડો જ પુરવાર કરે છે કે ગુજરાતમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને સરકાર પાસે કોઈ આગોતરો એક્શન પ્લાન નથી.