"PIનો હોદ્દો હતો પણ મળતો PSIનો પગાર" : ગુજરાત પોલીસના 250થી વધુ અધિકારીઓના 'અધૂરા પગાર'ના દિવસો હવે પૂરા, જાણો કોને ક્યાં મળી નિમણૂક?
ગુજરાત પોલીસ દળના ઇતિહાસમાં વહીવટી પ્રક્રિયાના કારણે સર્જાયેલી એક લાંબી વિટંબણાનો આજે સુખદ અંત આવ્યો છે, જેનાથી રાજ્યના 250થી વધુ પોલીસ અધિકારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે. લાંબા સમયથી પી.આઈ. (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકેનો હોદ્દો અને જવાબદારી સંભાળતા હોવા છતાં ટેકનિકલ કારણોસર PSIનો જ પગાર મેળવતા આ અધિકારીઓને હવે રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા કાયમી નિમણૂક આપી દેવામાં આવી છે. અત્યાર સુધી આ અધિકારીઓ 'વર્કિંગ પ્રમોશન' હેઠળ PI તરીકે ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ તેમનું વેતન ધોરણ PSI મુજબનું જ રહેતું હતું. હવે DGP કચેરી દ્વારા સત્તાવાર હુકમ બહાર પાડીને આ તમામ 254 જેટલા બિન-હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને વિવિધ શાખાઓ જેવી કે CID ક્રાઈમ, ACB અને સાયબર સેલ ખાતે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.
આ નિર્ણય સાથે જ હવે આ અધિકારીઓને પોલીસ ઇન્સ્પેક્ટરના દરજ્જા મુજબના તમામ પગાર-ભથ્થાં અને સેવાકીય લાભો મળવાનું શરૂ થશે. ખાસ કરીને પગાર ધોરણ Level-7માંથી વધીને હવે સીધું જ Level-8 મુજબ એટલે કે 44,900 થી 1,42,400ના પે-મેટ્રિક્સમાં તેઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, જે ગાળા દરમિયાન આ અધિકારીઓએ PI તરીકે ફરજ બજાવી પણ પગાર PSIનો લીધો હતો, તે સમયગાળાના પગારનો તફાવત (એરિયર્સ) પણ તેમને ડિફરન્સ સાથે ચૂકવવામાં આવે તેવી હકારાત્મક વિચારણા સરકાર સ્તરે હાથ ધરવામાં આવી છે. આ હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે તમામ અધિકારીઓએ કોઈ પણ પ્રકારની રજા ભોગવ્યા વિના તાત્કાલિક અસરથી નવા નિમણૂકના સ્થળે હાજર થઈ જવાનું રહેશે. વર્ષોની પડતર માંગણી અને કાયમી હકની આ લડાઈનો અંત આવતા પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે હવે આ અધિકારીઓ માત્ર હોદ્દાથી જ નહીં પણ આર્થિક અને વહીવટી રીતે પણ પૂર્ણ કક્ષાના પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયા છે.
આ નવા હુકમ મુજબ, રાજ્યના 250થી વધુ બિન-હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) વર્ગ-3ને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) વર્ગ-2ના સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપીને તેમને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહત્વની શાખાઓમાં નિમણૂંક આપવામાં આવી છે. આ યાદીમાં અનેક અનુભવી અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમાં શર્મીષ્ઠાબેન ચૌધરીને અમદાવાદ શહેર, પ્રવિણભાઈ ધાખડાને વડોદરાથી અમદાવાદ શહેર અને ચંદ્રકલાબા જાડેજાને ઈન્ટેલીજન્સ વિભાગમાંથી અમદાવાદ ગ્રામ્ય ખાતે મૂકવામાં આવ્યા છે. આ સહિતનાં 250થી વધુ અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહત્વની શાખાઓમાં નિમણૂંક આપવામાં આવી છે. આ ફેરફારો દ્વારા રાજ્યના પોલીસ વહીવટને વધુ સુદ્રઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં અનુભવી અધિકારીઓની નિમણૂંકથી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
01
02
03
04
05
06
07
08
09
10
11
12
13
14
15
16