ગુજરાતમાં સિલિકોસિસ પીડિત શ્રમયોગીઓ માટે સહાય: મૃત્યુના કિસ્સામાં વારસદારોને 4 લાખ અને બીમારીમાં 3 લાખની મદદ
રાજ્યમાં અકીક, પથ્થર અને બાંધકામ જેવા અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમયોગીઓને સિલિકોસિસ જેવા ગંભીર અને જીવલેણ વ્યવસાયલક્ષી રોગ સામે રક્ષણ આપવા ગુજરાત સરકાર દ્વારા મહત્વની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની તાજેતરની યાદી મુજબ, આ યોજના અંતર્ગત દર્દીઓને વિનામૂલ્યે સારવારની સાથે મોટી આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર
આરોગ્ય કમિશનરની કચેરીના નિર્દેશ મુજબ, સિલિકોસિસ રોગથી પીડિત દર્દીઓ માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજો ખાતે આ બીમારીના નિદાન અને સારવારની સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રમિકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરકારે આ પગલું ભર્યું છે.
3 લાખથી 4 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય
અકીક, પથ્થર કે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા સ્વાશ્રયી અને અસંગઠિત શ્રમયોગીઓને જો સિલિકોસિસની બીમારી લાગુ પડે, તો દર્દીને 3 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. જો કમનસીબે દર્દીનું આ રોગથી મૃત્યુ થાય, તો તેમના પરિવારને આધાર આપવા વારસદારોને 4 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે.
વર્ષ 2025-26 માં વિક્રમજનક 1.82 કરોડની સહાય ચૂકવાઈ
આંકડાકીય માહિતી મુજબ, ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા અગાઉના વર્ષોની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માં સૌથી વધુ સહાય આપવામાં આવી છે. આ વર્ષે કુલ 48 વારસદારોને 1.82 કરોડ રૂપિયાની મદદ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 10 વર્ષમાં સિલિકોસિસ રોગથી મૃત્યુ પામેલા શ્રમિકોના કુલ 205 વારસદારોને 3.39 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે.
યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા
આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા પાત્ર શ્રમયોગીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://grwwb.gujarat.gov.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે. ફોર્મ ભર્યા બાદ, જરૂરી આધાર-પુરાવાની પ્રમાણિત નકલો સાથે તેની બે નકલો સંબંધિત જિલ્લાની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તંત્રની કચેરી અથવા સરકારી શ્રમ અધિકારીની કચેરીએ જમા કરાવવાની રહેશે.
આ સહાય યોજના અને વિનામૂલ્યે સારવાર થકી ગંભીર બીમારીનો સામનો કરી રહેલા ગરીબ શ્રમિક પરિવારોને મોટી આર્થિક રાહત મળશે અને તેમના જીવનધોરણમાં સુધારો લાવી શકાશે.