ધ્રુવ કમલ’ બિલ્ડિંગના પિલર તોડવાને કારણે આયુષ્ય ઘટશે, ગુજરાત યુનિવર્સિટીમાં NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન, કર્યા ગંભીર આક્ષેપો...
ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં તાજેતરમાં જ મુખ્યમંત્રીના હસ્તે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેવા ભવ્ય 'ધ્રુવ કલામ' બિલ્ડિંગમાં ચાલી રહેલું ખોદકામ હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. NSUI દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને યુનિવર્સિટી સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. NSUI નેતા ચિરાગ દરજીએ આક્ષેપ કર્યો છે કે, જે લેબ માટેની ઊંચાઈ વાસ્તવમાં 21 ફૂટ રાખવાની જરૂર હતી, ત્યાં માત્ર 12 ફૂટ જ ઊંચાઈ રાખવામાં આવી હતી. બિલ્ડિંગનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યા બાદ હવે તેના ભોંયતળિયે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી સંગઠનનો દાવો છે કે પિલર સાથેની આ છેડછાડ બિલ્ડિંગની આયુષ્યમર્યાદા ઘટાડી દેશે અને ભવિષ્યમાં અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ઊભું થશે. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર સત્તાધીશોને સસ્પેન્ડ કરવાની અને હાલ પૂરતું બિલ્ડિંગને તાળું મારી દેવાની માંગ સાથે NSUIએ આંદોલન છેડ્યું છે.
બીજી તરફ, આ આક્ષેપોનો સખત શબ્દોમાં જવાબ આપતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે જેને આપ બીમ માનો છો, તે સ્ટ્રક્ચરનો ભાગ નથી. કુલ ઊંચાઈ 16 ફીટની છે, જેમાં ચેમ્બરની દીવાલો માટે 4 ફીટ નીચે જઈને કામ કરવામાં આવશે અને ત્યારબાદ તેને ફરી સમતલ કરવામાં આવશે. આ કોઈ ભોયરું કે બેઝમેન્ટ નથી બની રહ્યું.આ પ્લાનિંગ લગભગ બે વર્ષથી ચાલુ છે. અહીં 'ડિફેન્સ રિસર્ચ સિસ્ટમ'ની એક લેબ બની રહી છે.
આમાં મોટા મોટા ડિફેન્સ એક્સપર્ટસ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ, વૈદિક સાયન્સના નિષ્ણાતો, ન્યુરોલોજીસ્ટ અને IIT મંડી, IIT ખડકપુર તથા પુણેની મોટી સંસ્થાઓના નિષ્ણાતો જોડાયેલા છે.આ એક વેક્યુમ ચેમ્બર હશે જેમાં ચારે બાજુ એક મીટરની ફોમની દીવાલ હશે જેથી અવાજ અંદર કે બહાર ન જઈ શકે. તેનો ઉપયોગ ન્યુરોલોજી એટલે કે દિમાગી બીમારીઓના સંશોધનમાં થશે. ખાસ કરીને આપણા સૈનિકો જે પરિસ્થિતિમાં કામ કરે છે, તેમાં કેવા પ્રકારના પ્રેશર હોય છે અને કઈ શારીરિક મુદ્રા તેને દવા વગર ક્યોર કરી શકે, તેવું સંશોધન અહીં થશે અને તેનું આઉટપુટ ડિફેન્સ અને આર્મીને આપવામાં આવશે.ડિઝાઇનમાં કોઈ ક્ષતિ નથી. અમે ડિઝાઇનને અડ્યા જ નથી. જેમ 'અટલ કલામ હોલ' છે, તેમ આ હોલને રિસર્ચ લેબમાં કન્વર્ટ કરી રહ્યા છીએ.
આમ, એક તરફ વિદ્યાર્થી હિત અને સુરક્ષાના નામે NSUI મેદાને પડ્યું છે, તો બીજી તરફ યુનિવર્સિટી તંત્ર તેને સંશોધનનો ભાગ ગણાવી બચાવ કરી રહ્યું છે.