આગાહી વચ્ચે ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બેવડી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. માર્ચ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેના કારણે જનજીવન અને ખાસ કરીને ખેતીકામ પર તેની ગંભીર અસરો વર્તાઈ રહી છે.આજે ગીર પંથકના વાતાવરણમાં સવારથી જ પલટો આવ્યો હતો. ઉના, ગીર ગઢડા અને તાલાલા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા, જેના કારણે વાહનવ્યવહારમાં પણ અવરોધ ઉભો થયો હતો અને ઉનાળામાં ચોમાસાનો અનુભવ થયો હતો.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ પ્રકોપ દેખાડ્યો છે. માળીયા હાટીના તાલુકાના અકાળા, કાલીંભડા અને વિરડી સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતીના તૈયાર પાકને ભારે અસર પહોંચી છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિથી ગ્રામીણ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો જે વિશ્વપ્રસિદ્ધ કેસર કેરી માટે જાણીતો છે, ત્યાં સિઝનના પ્રારંભે જ કમોસમી વરસાદ પડતા બગીચાના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
આંબા પર તૈયાર થઈ રહેલા મોર અને નાની કેરીઓ ભારે પવન અને વરસાદને કારણે ખરી જવાની શક્યતા છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન અને ખેડૂતોની આવક પર પડશે.હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હજુ આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.વરસાદી માહોલ ઓસર્યા બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે.