પેટની ગરમીને કહો અલવિદા! ઘરે બનાવો 'બીલીનો મુરબ્બો' ઉનાળામાં પાચન અને ઠંડક માટેનું અકસીર અમૃત
ઉનાળાની કાળઝાળ ગરમી પોતાની સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે, જેમાં પેટમાં બળતરા, ડિહાઈડ્રેશન અને પાચનની તકલીફો મુખ્ય છે. આ ઋતુમાં શરીરને અંદરથી ઠંડક આપવા માટે કુદરતે આપણને 'બીલી' જેવું અમૃત સમાન ફળ આપ્યું છે. ભગવાન શિવની પૂજામાં જેનો મહિમા અપરંપાર છે, તે બીલીનું ફળ પોષક તત્વો અને ઔષધિય ગુણોનો ભંડાર છે. સામાન્ય રીતે આપણે બીલીનો રસ કે શરબત પીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે 'બીલીનો મુરબ્બો' ઉનાળા માટે એક સુપરફૂડ સાબિત થઈ શકે છે?
તે માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ લીવર અને પાચનતંત્ર માટે આશીર્વાદ સમાન છે. આજના લેખમાં આપણે જાણીશું કે કેવી રીતે સામગ્રીઓનો ઉપયોગ કરીને તમે ઘરે જ શુદ્ધ અને કેમિકલ-મુક્ત બીલીનો મુરબ્બો બનાવી શકો છો, જે તમને આખો ઉનાળો તાજગી અને તંદુરસ્તી આપશે અને ઉનાળામાં સ્વાસ્થ્ય માટે 'સુપરફૂડ'થી ઓછું નથી.
પોષક તત્વોનો ભંડાર
બીલીના ફળને 'સોનેરી સફરજન' અથવા 'સ્ટોન એપલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફળમાં આલ્કલોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડ જેવા મહત્વના ફાયટોકેમિકલ્સ રહેલા છે. આ ઉપરાંત, તે ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને વિવિધ વિટામિન્સનો ખજાનો છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
પાચનતંત્ર માટે અકસીર
બીલીનો મુરબ્બો પાચન સંબંધી સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. તે ખાસ કરીને લાંબા સમયના ઝાડા, મરડો અને કબજિયાત જેવી તકલીફોમાં રાહત આપે છે. આયુર્વેદ મુજબ, બીલીના ફળમાં રહેલા તત્વો આંતરડાને સાફ રાખે છે અને લીવરની કાર્યક્ષમતામાં સુધારો કરે છે, જેનાથી એકંદર સ્વાસ્થ્ય સુધરે છે.
જરૂરી સામગ્રી
ઘરે શુદ્ધ બીલીનો મુરબ્બો બનાવવા માટે માત્ર 4 મુખ્ય વસ્તુઓની જરૂર પડે છે જેમાં 1 કિલો પાકેલા બીલીના ફળ, 1 કિલો સાકર (ખાંડની કેન્ડી), જરૂરી મુજબ પાણી અને સ્વાદ માટે અડધી ચમચી એલચી પાવડર. ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરવાથી મુરબ્બો વધુ ઠંડક આપનારો અને સ્વાસ્થ્યવર્ધક બને છે.
બનાવવાની પૂર્વ તૈયારી
સૌ પ્રથમ, પાકેલા બીલીને પાણીથી ધોઈને સાફ કરી લો. બીલીની છાલ ખૂબ કઠણ હોય છે, તેથી તેને કોઈ ભારે વસ્તુથી તોડીને અંદરનો પલ્પ (માવો) અલગ કરી લો. આ માવાના નાના ટુકડા અથવા ગોળ ચતી કરી લો. ત્યારબાદ એક તપેલામાં પાણી ઉકાળી તેમાં સ્ટીમર મૂકી, બીલીના ટુકડાને 8 થી 10 મિનિટ સુધી વરાળમાં બરાબર રાંધી લો.
ચાસણી અને મિશ્રણ
એક મોટા વાસણમાં સાકર અને પાણી ઉમેરીને ઘટ્ટ ચાસણી તૈયાર કરો. આ પ્રક્રિયામાં લગભગ અડધો કલાક લાગી શકે છે. ચાસણી તૈયાર થઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને અગાઉ બાફેલા બીલીના ટુકડા ઉમેરો. આ મિશ્રણને વધુ ૫ મિનિટ સુધી ધીમા તાપે રાંધો જેથી ચાસણી બીલીના ટુકડામાં બરાબર ઉતરી જાય.
સંગ્રહ અને સેવન
તૈયાર થયેલા મુરબ્બાને સંપૂર્ણપણે ઠંડો પડવા દો અને ત્યારબાદ તેને કાચની હવાચુસ્ત બરણીમાં ભરી લો. આ મુરબ્બો મહિનાઓ સુધી સારો રહે છે. ઉનાળા દરમિયાન રોજ સવારે આ મુરબ્બાનું સેવન કરવાથી એસિડિટી, પેટની બળતરા અને ગરમીથી બચી શકાય છે. આ રીતે ઘરે બનાવેલો શુદ્ધ મુરબ્બો બજારની બનાવટો કરતા અનેકગણો ચડિયાતો સાબિત થાય છે.