પશ્ચિમ એશિયા સંકટ: સરકારે 40 પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર 30 જૂન, 2026 સુધી કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ઊભી થયેલી અડચણો વચ્ચે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સ્થાનિક ઉદ્યોગોને રાહત આપવા માટે નાણા મંત્રાલયે મહત્વપૂર્ણ પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર 30 જૂન, 2026 સુધી સંપૂર્ણ કસ્ટમ ડ્યુટી મુક્તિની જાહેરાત કરી છે.
સ્થાનિક ઉદ્યોગો માટે કામચલાઉ અને લક્ષિત રાહત
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના ઉદ્યોગોને જરૂરી પેટ્રોકેમિકલ ઈનપુટ્સ સતત મળતા રહે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ એક કામચલાઉ અને લક્ષિત રાહત છે. સરકારે નોંધ્યું છે કે આ નિર્ણયથી ડાઉનસ્ટ્રીમ ક્ષેત્રો પર પડતા ખર્ચના દબાણને ઘટાડવામાં અને દેશમાં કાચા માલના પુરવઠાની સ્થિરતા જાળવવામાં મોટી મદદ મળશે.
પ્લાસ્ટિક, ફાર્મા અને ટેક્સટાઈલ સહિતના ક્ષેત્રોને ફાયદો
સરકારના આ નિર્ણયથી પેટ્રોકેમિકલ ફીડસ્ટોક અને ઇન્ટરમીડિયેટ પર નભતા વિવિધ ઉત્પાદન ક્ષેત્રોને સીધો લાભ થશે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ મુક્તિથી પ્લાસ્ટિક, પેકેજિંગ, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, રસાયણો, ઓટોમોટિવ ઘટકો અને અન્ય મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને ફાયદો થશે. કાચા માલનો ખર્ચ ઘટવાથી અંતિમ ઉત્પાદનો વાપરતા સામાન્ય ગ્રાહકોને પણ આગામી સમયમાં ભાવઘટાડા રૂપે આર્થિક રાહત મળવાની અપેક્ષા છે.
40 જેટલી ચીજવસ્તુઓ કસ્ટમ ડ્યુટીમાંથી મુક્ત
નાણા મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં માહિતી આપી હતી કે કુલ 40 પ્રકારના પેટ્રોકેમિકલ માલસામાનને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ યાદીમાં મિથેનોલ, એનહાઇડ્રોસ એમોનિયા, ટોલ્યુએન, સ્ટાયરીન, ડાયક્લોરોમેથેન અને વિનાઇલ ક્લોરાઇડ મોનોમર જેવા મહત્વના રસાયણોનો સમાવેશ થાય છે.