UN ચૂંટણીમાં ભારતનો વિજય: ECOSOC ની ચાર મહત્વની સંસ્થાઓમાં ભારતનો નિર્વિરોધ વિજય

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોજાયેલી ચૂંટણીઓમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતને આર્થિક અને સામાજિક પરિષદની ચાર વિવિધ પેટા-સંસ્થાઓમાં નિર્વિરોધ ચૂંટવામાં આવ્યું છે. આ જીત વૈશ્વિક સ્તરે ભારતની વધતી જતી સ્વીકાર્યતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રભાવશાળી નેતૃત્વનું પ્રતીક છે. ગઈકાલે યોજાયેલી આ ચૂંટણીઓ સભ્ય દેશોના સર્વસંમતિથી મળેલા સમર્થન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
પ્રીતિ સરનની મહત્વની સમિતિમાં પુન: પસંદગી
ભારતના ભૂતપૂર્વ વરિષ્ઠ રાજદ્વારી પ્રીતિ સરનને ‘આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો સમિતિ’માં તેમની વ્યક્તિગત ક્ષમતામાં ફરીથી ચૂંટવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તેમણે ગત વર્ષે આ સમિતિના સત્રનું અત્યંત કુશળતાપૂર્વક અધ્યક્ષપદ સંભાળ્યું હતું. તેમની આ પુન: પસંદગી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના માનવ અધિકારો અને સામાજિક વિકાસ પ્રત્યેના સમર્પણને વધુ મજબૂત બનાવે છે.
ત્રણ અન્ય કમિશનમાં પણ મળ્યું મહત્વનું સ્થાન
આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો સમિતિ ઉપરાંત, ભારતે અન્ય ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ વિજય મેળવ્યો છે. જેમાં વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી કમિશન, બિન-સરકારી સંગઠનો પરની સમિતિ, કાર્યક્રમ અને સંકલન સમિતિનો સમાવશે થાય છે. આ સંસ્થાઓમાં ભારતની ઉપસ્થિતિથી વૈશ્વિક નીતિ-નિર્ધારણ, ટેકનોલોજીકલ વિકાસ અને સામાજિક સંગઠનોના સંકલનમાં દેશની ભૂમિકા નિર્ણાયક બની રહેશે. ચૂંટણીમાં મળેલો આ નિર્વિરોધ પ્રતિસાદ દર્શાવે છે કે સભ્ય દેશો ભારતની પારદર્શી કાર્યશૈલી અને લોકશાહી મૂલ્યો પર અતૂટ વિશ્વાસ ધરાવે છે.
રાજદ્વારી ક્ષેત્રે પ્રીતિ સરનનો બહોળો અનુભવ
પ્રીતિ સરન ભારતીય વિદેશ સેવામાં 36 વર્ષની પ્રતિષ્ઠિત કારકિર્દી ધરાવે છે. તેઓ વિદેશ મંત્રાલયમાં ભૂતપૂર્વ સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેઓ વિયેતનામમાં ભારતના રાજદૂત તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે ટોરોન્ટો, જીનીવા, ઢાકા, કૈરો અને મોસ્કો જેવા વિશ્વના અગ્રણી શહેરોમાં વિવિધ રાજદ્વારી જવાબદારીઓ કુશળતાપૂર્વક નિભાવી છે.