જામનગરમાં એક માસ પૂર્વે જ પરણેલા યુવાનનો ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત, પરિવારમાં માતમ
જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષીય આહીર યુવાન હર્ષ ભરતભાઈ ડાંગરે હાપા નજીક ધસમસતી માલગાડી હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પિતા સાથે ચાની લારી પર કામ કરતા એકના એક પુત્રના આવા અકાળે અવસાનથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.પોલીસ તપાસ અને મૃતકના પિતા ભરતભાઈ ડાંગરના નિવેદન અનુસાર, હર્ષના લગ્ન હજુ ગત 14 ફેબ્રુઆરીના રોજ એટલે કે માત્ર દિવસ પહેલા જ થયા હતા. લગ્ન બાદ રીત-રિવાજ મુજબ રાજકોટ સાસરી પક્ષમાં કુટુંબીઓને ત્યાં જમવા જવા માટે માતાએ હર્ષને કહ્યું હતું.
જોકે, હર્ષને ત્યાં જવું પસંદ ન હોવાથી તેને મનમાં લાગી આવ્યું હતું અને આવેશમાં આવીને તે ઘરેથી નીકળી ગયો હતો. ઘરેથી નીકળ્યા બાદ હર્ષ હાપા પાસે રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. માલગાડીના લોકો પાયલોટે એક યુવાનને અચાનક પાટા પર ઉભેલો જોયો હતો, પરંતુ ટ્રેન ઉભી રાખવી શક્ય ન હોવાથી હર્ષ માલગાડીની હડફેટમાં આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી ભયાનક હતી કે યુવાનના દેહના બે ટુકડા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ બેડી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. કે. જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને ત્યારબાદ મૃતદેહ શોકતુર પિતાને સોંપ્યો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરતભાઈને સંતાનમાં હર્ષ એકનો એક પુત્ર હતો. હજુ તો હર્ષની પત્નીના હાથની મહેંદી પણ સુકાઈ નહોતી ત્યાં જ લગ્નના સવા મહિનામાં જ સેંથાનો સિંદૂર ભૂંસાઈ જતાં પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. એક સામાન્ય વાતમાં માઠું લાગી આવતા યુવાને ભરેલા આ આત્મઘાતી ડગલાથી સમગ્ર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે.