રાજકોટમાં સોનાની બંગડીઓ ઓળવી જનાર ઠગબાજ પોલીસ સકંજામાં...અન્ય બે આરોપીઓની શોધખોળ તેજ
રાજકોટના એક સોની વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી સોનાની બંગડી પચાવી પાડવાના ગુનામાં જામનગરની સીટી બી. ડિવિઝન પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું અને તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડાએ એક સપ્તાહ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે જામનગરના એક ગ્રાહક જયપાલસિંહ રાણાને પહોંચાડવા માટે અંદાજે ₹2,55,000 ની કિંમતની સોનાની બંગડી પોતાના જામનગર સ્થિત મિત્ર કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને આપી હતી.
જોકે, કેયુરે આ બંગડી ગ્રાહકને પહોંચાડવાને બદલે વિશ્વાસઘાત કરી, રવિ સોની નામના શખ્સ પાસે ₹1.50 લાખમાં ગીરવે મૂકી દીધી હતી. આ ગુનામાં જીગ્નેશ સોલંકી નામના શખ્સે પણ મદદગારી કરી હતી. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા સીટી બી. ડિવિઝન પોલીસે મુખ્ય સૂત્રધાર કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે પકડાયેલ આરોપી કેયુર સામે જામનગર અને રાજકોટના અલગ-અલગ પોલીસ મથકોમાં અગાઉ છ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
પોલીસ હાલ તેની સઘન પૂછપરછ કરી રહી છે જેથી અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે.આ છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ રવિ સોની (જેની પાસે બંગડી ગીરવે મુકાઈ હતી) અને જીગ્નેશ સોલંકી (મદદગાર) હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ બંને શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સોની બજારના વેપારીઓમાં આ કાર્યવાહીથી સંતોષની લાગણી ફેલાઈ છે.