જામનગરના યુવાન કોન્ટ્રાક્ટરનો ગળાફાંસો ખાઈ આપઘાત, કારણ અકબંધ
જામનગર શહેરના બેડીબંદર રીંગ રોડ પર આવેલી શિવ ટાઉનશિપમાં રહેતા એક આશાસ્પદ યુવાન કોન્ટ્રાક્ટરે ગત રાત્રિના સમયે પોતાના નિવાસસ્થાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા 21 વર્ષીય અવિકુમાર મનસુખભાઈ શિંગડીયાના આ આકસ્મિક પગલાથી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતા જ મૃતકના મોટાભાઈ જસ્મીનભાઈ શિંગડીયા તાત્કાલિક રૂમમાં દોડી ગયા હતા અને પંખાના હુક સાથે લટકતા અવિકુમારને નીચે ઉતારી સારવાર અર્થે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા.
જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ યુવાનને મૃત જાહેર કરતા પરિવાર ભાંગી પડ્યો હતો. આ મામલે જી.જી. હોસ્પિટલ ચોકી દ્વારા જાણ કરાતા સીટી સી-ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી. એન. ત્રિવેદી સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાયદેસરનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ઘટના સમયે મૃતકનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હાલતમાં મળી આવ્યો હતો, જેને પોલીસે કબજે લીધો છે. પોલીસનું માનવું છે કે યુવાનના આપઘાત પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવવામાં આ મોબાઈલ ફોન ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે છે.
હાલમાં પોલીસ દ્વારા સ્વીચ ઓફ રહેલા મોબાઈલ ફોનને અનલોક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મોબાઈલ ખુલ્યા બાદ તેના વોટ્સએપ ચેટ, કોલ ડિટેઇલ્સ અને સોશિયલ મીડિયા એક્ટિવિટીની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. આ ડેટાના આધારે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે યુવાન કોઈ માનસિક તણાવ કે અન્ય કોઈ દબાણ હેઠળ તો નહોતો ને?