આણંદ બાપાનો તિથિ મહોત્સવ: ભેડાપીપળીયામાં લોક ગાયકોની રમઝટ, ડાયરામાં સોનાની નોટો ઉડતા આકર્ષણનું કેન્દ્ર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામ ખાતે સમસ્ત જોટંગીયા પરિવારના આરાધ્ય દેવ સુરાપુરા શ્રી આણંદ બાપાનો 49મો તિથિ મહોત્સવ અત્યંત શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ મંગલ પ્રસંગે આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક સંસ્કૃતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. મહોત્સવમાં જોટંગીયા પરિવારના સેંકડો સભ્યો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર ભેડાપીપળીયા ગામ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. તિથિ મહોત્સવના ઉપલક્ષમાં રાત્રિના સમયે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના ખ્યાતનામ લોક ગાયક ઉમેશ બારોટ, પ્રખર સાહિત્યકાર રાજદાન ગઢવી અને સુમધુર અવાજ ધરાવતા પૂનમ ગઢવીએ પોતાની કલા પીરસી હતી. ડાયરાની શરૂઆત ગણેશ વંદના અને સુરાપુરા બાપાના ગુણગાનથી કરવામાં આવી હતી. કલાકારોએ ભજન અને લોક સાહિત્યની એવી રમઝટ બોલાવી હતી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. ડાયરા દરમિયાન એક અદભૂત અને આશ્ચર્યજનક દ્રશ્ય જોવા મળ્યું હતું. જ્યારે કલાકારો ભક્તિના રંગમાં રંગાયા હતા, ત્યારે જોટંગીયા પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયાએ આણંદ બાપાના ચરણોમાં પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરતા સોનાની નોટોનો વરસાદ કર્યો હતો.
સામાન્ય રીતે ડાયરામાં ચલણી નોટો ઉડતી જોવા મળતી હોય છે, પરંતુ અહીં સોનાની નોટોનો વરસાદ થતા ઉપસ્થિત સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ અનોખી ‘ઘોળ’ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સંજયભાઈ જોટંગીયા દ્વારા કરવામાં આવેલો આ સોનાની નોટોનો વરસાદ માત્ર સંપત્તિનું પ્રદર્શન નહીં, પરંતુ પોતાના કુળદેવતા અને કલા પ્રત્યેનું સમર્પણ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. લોક ગાયક ઉમેશ બારોટ અને રાજદાન ગઢવીના સુરમાં સૂર પુરાવતા જ્યારે ભક્તિના ગીતો ગુંજ્યા, ત્યારે મંચ પર સોનાની ચમક વેર વિખેર જોવા મળી હતી.
આણંદ બાપાની સ્થાપના અને પૂજન અર્ચન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જોટંગીયા પરિવારના વડીલો અને યુવાનોએ ખભેખભા મિલાવીને મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બહારગામ વસતા પરિવારના સભ્યો પણ આ ખાસ દિવસે પોતાના વતનમાં આવી પહોંચ્યા હતા, જેનાથી પારિવારિક એકતાના દર્શન પણ થયા હતા. લોક ગાયિકા પૂનમ ગઢવીએ પણ પોતાના આગવા અંદાજમાં લોકગીતોની પ્રસ્તુતિ કરી હતી, જેણે મહિલા શ્રોતાઓને પણ ભક્તિના રંગે રંગ્યા હતા.
ભેડાપીપળીયામાં ઉજવાયેલો તિથિ મહોત્સવ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનો ત્રિવેણી સંગમ સાબિત થયો હતો. સુરાપુરા શ્રી આણંદ બાપાના આશીર્વાદ લેવા માટે ઉમટેલા ભક્તોએ ધન્યતા અનુભવી હતી. જોટંગીયા પરિવારે આ આયોજન દ્વારા સમાજમાં એકતા અને ભક્તિનો સંદેશો વહેતો કર્યો છે. કાર્યક્રમના અંતે સંજયભાઈ જોટંગીયા અને પરિવારના અન્ય સભ્યોએ પધારેલા તમામ કલાકારો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.