દાદાના જન્મોત્સવે મોઢું મીઠું કરાશે! જૂનાગઢમાં 21,000 લાડુનો દિવ્ય ભોગ અને ભવ્ય ઉજવણી
સમગ્ર ભારત વર્ષમાં આજે હનુમંત પ્રાગટ્ય મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલા અતિ પ્રાચીન અને ચમત્કારી લંબે હનુમાન મંદિર ખાતે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી જ મંદિરમાં દાદાના દર્શન, અભિષેક અને વિશેષ પૂજા વિધિનો પ્રારંભ થયો છે. હજારોની સંખ્યામાં ઉમટી પડતા ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ 21,000 શુદ્ધ ઘીના લાડુનો મહાપ્રસાદ છે. શ્રદ્ધાળુઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આ પ્રસાદનું વિતરણ દિવસ દરમિયાન કરવામાં આવશે.
આટલી મોટી સંખ્યામાં લાડુ બનાવવાની પ્રક્રિયા પાછળ મંદિરનો મુખ્ય ઉદ્દેશ્ય હનુમંત જન્મોત્સવને અનોખી રીતે અને શુદ્ધતા સાથે ઉજવવાનો છે. ભક્તોમાં આ મહાપ્રસાદને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૌશાળામાંથી ખાસ શુદ્ધ દેશી ગાયનું ઘી મગાવવામાં આવ્યું છે. આ ઘીના ઉપયોગ પહેલા લેબોરેટરીમાં તેનું ચોકસાઈપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભેળસેળમુક્ત હોવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ જ તેમાંથી પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આ માટે અંદાજે 2 ક્વિન્ટલ ઘી, 5 ક્વિન્ટલ ચણાનો લોટ અને 45 કિલો ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે ખાસ રાજસ્થાનના કુશળ હલવાઈઓને તેડાવવામાં આવ્યા હતા. તેમની વર્ષોની અનુભવી કારીગરી દ્વારા આટલી વિશાળ માત્રામાં લાડુ બનાવવામાં આવ્યા છે. રાજસ્થાની શૈલીમાં અને પરંપરાગત રીતે તૈયાર થયેલો આ ભોગ આજે હનુમાનજીને અર્પણ કર્યા બાદ તમામ ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવશે, જે મંદિરની ભક્તિમય પરંપરાને વધુ ઉજ્જવળ બનાવે છે. હનુમાનજી મહારાજ સૌ પર કૃપા કરે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવા શુભ આશય સાથે આ દિવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે.