કેદારનાથ ધામમાં કુદરતની અદ્ભુત લીલા: ચારધામ યાત્રા શરૂ થાય તે પહેલા જ બરફની સફેદ ચાદર છવાઈ!
બાબા કેદારના ભક્તો જ્યારે 22 એપ્રિલે કપાટ ખુલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હિમાલયના ખોળે વસેલા કેદારનાથ ધામમાં કુદરતે રૌદ્ર અને મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે. એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે બરફ પીગળવાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઉલટું જોવા મળી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકથી થઈ રહેલી અવિરત હિમવર્ષાને કારણે સમગ્ર કેદારપુરી સફેદ બરફની ચાદરમાં લપેટાઈ ગઈ છે, જેનાથી તાપમાનનો પારો ગગડીને માઈનસમાં પહોંચી ગયો છે. આગામી ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને બદ્રી-કેદાર મંદિર સમિતિ પદયાત્રાના માર્ગો પરથી બરફ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી હતી.
જોકે, આ તાજી હિમવર્ષાએ શ્રમજીવીઓની દિવસ-રાતની મહેનત પર પાણી ફેરવી દીધું છે. જે રસ્તાઓ તાજેતરમાં જ સાફ કરવામાં આવ્યા હતા, તે ફરીથી અનેક ફૂટ બરફ નીચે દટાઈ જતાં હવે નવેસરથી સફાઈ કામગીરી શરૂ કરવી પડશે. હિમવર્ષાને કારણે માત્ર રસ્તાઓ જ બંધ નથી થયા, પરંતુ ધામમાં શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવતી પાયાની સુવિધાઓમાં પણ મોટો અવરોધ આવ્યો છે. રહેવા માટેની ટેન્ટ કોલોની વસાવવાનું કામ હાલ અટકી પડ્યું છે.
આ ઉપરાંત, ઠંડી અને બરફને કારણે વીજળીના થાંભલા ઊભા કરવા અને પાણીની પાઈપલાઈન નાખવા જેવી અત્યંત જરૂરી કામગીરીમાં શ્રમજીવીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 22 એપ્રિલે કપાટ ખુલવાના હોવાથી હવે સમય ઘણો ઓછો બચ્યો છે. જો આગામી દિવસોમાં પણ આવું જ હવામાન રહ્યું, તો તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવી એ પ્રશાસન માટે મોટી અગ્નિપરીક્ષા સાબિત થશે.
હિમવર્ષાને કારણે ગ્લેશિયર તૂટવાનો ભય પણ વધી ગયો છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ સતત મોનિટરિંગ કરી રહી છે જેથી કોઈ જાનહાનિ ન થાય. કેદારનાથનો આ બરફીલો નજારો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ જોખમી છે. વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે તેઓ હવામાનની સચોટ માહિતી મેળવ્યા બાદ જ યાત્રાનું આયોજન કરે. જો બરફ હટાવવાની કામગીરી પૂર્ણ નહીં થાય, તો શરૂઆતના દિવસોમાં યાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તેમની સંખ્યા પર નિયંત્રણો મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.