"કેરીના મોર ખર્યા ને ખેડૂતોના હૈયા રડ્યા" : કચ્છ જિલ્લાના ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કમોસમી વરસાદે છીનવ્યો, એરંડા, જીરું અને ઘઉંનો પાકને ભારે નુકશાન...
કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. શિયાળુ પાક જ્યારે લણણીના આરે હતો અને ખેડૂતો આખા વર્ષની મહેનતનું ફળ મેળવવાની આશા રાખીને બેઠા હતા, ત્યારે જ કુદરતે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. આ માવઠાના કારણે ખાસ કરીને એરંડા, વરિયાળી અને ઘઉં જેવા રોકડિયા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અને તેજ પવનને લીધે તૈયાર થયેલા ઘઉંનો પાક ઢળી પડ્યો છે, જેનાથી દાણાની ગુણવત્તા બગડવાની અને ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.
બાગાયતી ખેતી માટે જાણીતા કચ્છમાં આ વખતે આંબા, દાડમ અને શક્કરટેટીના પાક પર પણ કમોસમી વરસાદની માઠી અસર જોવા મળી છે. આંબા પર આવેલા મોર (ફૂલ) ખરી પડતા અને નાના ફળોને નુકસાન થતા કેરીના ઉત્પાદનમાં આ વર્ષે મોટો ઘટાડો થવાની શક્યતા છે. તેવી જ રીતે દાડમ અને શક્કરટેટીના વેલાઓમાં પણ પાણી ભરાવાને કારણે સડો લાગવાની દહેશત ઉભી થઈ છે. જીરું અને ઈસબગુલ જેવા સંવેદનશીલ પાકો તો આ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના મતે, આ આફત "પડ્યા પર પાટું" સમાન છે, કારણ કે એક તરફ મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે માંડ પાક તૈયાર થયો હતો, ત્યાં કુદરતે આખરી ઘડીએ બધું જ છીનવી લીધું છે.
ખેડૂત
સ્થાનિક ખેડૂત આગેવાનો કાનજી ગાગલ અને હરેશ ઠક્કરના જણાવ્યા અનુસાર, ભારે પવન અને વરસાદે માત્ર પાકને જ નહીં પરંતુ ખેડૂતોના અરમાનોને પણ રોળી નાખ્યા છે. તૈયાર પાક મોઢા સુધી આવ્યો હતો પણ કોળિયો છીનવાઈ ગયો છે. હવે ખેડૂતોની નજર સરકાર સામે ટકેલી છે.
ખેડૂત
જગતનો તાત લાચારી અનુભવી રહ્યો છે અને માંગ કરી રહ્યો છે કે સરકાર તાત્કાલિક ધોરણે જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરે. નુકસાનીનું યોગ્ય પંચનામું કરી વહેલી તકે વળતર ચૂકવવામાં આવે તો જ ખેડૂતો આવનારા ચોમાસાની ખેતી માટે સજ્જ થઈ શકશે. અત્યારે તો કચ્છનો ખેડૂત આકાશી આફત સામે લાચાર બનીને પોતાના તારાજ થયેલા ખેતરો જોઈ આંસુ સારી રહ્યો છે.