મહુવાના લોંગડી ગામે ભોજન બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનીંગ અસર; 25 વિદ્યાર્થી દાખલ
ધાર્મિક ઉત્સવો દરમિયાન સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર કે નાસ્તાના આયોજનો પવિત્ર હેતુથી કરવામાં આવતા હોય છે, પરંતુ જો રાંધતી વખતે કે સામગ્રીની પસંદગીમાં સહેજ પણ બેદરકારી રહી જાય, તો તે ગંભીર સ્વાસ્થ્ય કટોકટી સર્જી શકે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ખોરાક ઝડપથી બગડવાની શક્યતા રહેતી હોય છે, ત્યારે બાળકોને આપવામાં આવતા ભોજનની શુદ્ધતા બાબતે અત્યંત સાવધાની રાખવી અનિવાર્ય છે. લોંગડી ગામની ઘટના એ વાતની યાદ અપાવે છે કે સામાજિક સેવાની સાથે સ્વચ્છતા અને સુરક્ષાના માપદંડો પણ એટલા જ જરૂરી છે.
ભાવનગરના મહુવા તાલુકાના લોંગડી ગામની પ્રાથમિક શાળામાં આજે હનુમાન જયંતિના પર્વે આયોજિત અલ્પાહારનો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પીડાદાયક સાબિત થયો હતો. શાળામાં બાળકોને આપવામાં આવેલી પાઉંભાજી અને પુલાવ ખાધા બાદ જોતજોતામાં 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી.
ખુશીનો પ્રસંગ ચિંતામાં ફેરવાયો
મહાવીર સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે બાળકો માટે ખાસ નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ભોજન લીધાના ગણતરીના સમયમાં જ બાળકોને ઉલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ ઉઠી હતી. સ્થિતિ ગંભીર બનતા ગ્રામજનો અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક શાળાએ દોડી આવી હતી. અસરગ્રસ્ત બાળકો પૈકી જેઓની હાલત વધુ નાજુક હતી તેવા ૨૫ વિદ્યાર્થીઓને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે, જ્યારે 60થી વધુ બાળકોને ગામમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ગભરાટ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. સદનસીબે, હાલમાં તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જેનાથી તંત્ર અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
આ ઘટનાએ શાળામાં બહારથી આવતા ભોજનની ગુણવત્તા અને તેની ચકાસણી બાબતે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.