નવસારીના વાંસદામાં 100થી વધુ આદિવાસી દંપતીઓની ખ્રિસ્તી ધર્મ છોડી પુનઃ હિન્દુ ધર્મમાં ઘરવાપસી !
વર્તમાન સમયમાં ધર્માંતરણનો વિષય સમાજમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. લોભ, લાલચ કે અન્ય પ્રલોભનો દ્વારા થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનો સક્રિય બન્યા છે. મૂળ સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની જાગૃતિને કારણે હવે અનેક લોકો પુનઃ પોતાના પિતૃ ધર્મ તરફ વળી રહ્યા છે.
ઉનાઈ મંદિરે ભક્તિમય માહોલમાં ઘરવાપસી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાના મંદિર ખાતે આજે એક વિશિષ્ટ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. અહીં આદિવાસી સમાજના અગ્રણીઓ અને હિન્દુ સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી કુલ 100 થી વધુ આદિવાસી દંપતીઓએ ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મમાં પુનઃ પ્રવેશ કર્યો હતો.
શુદ્ધિકરણ વિધિ અને સંકલ્પ
આ ઘરવાપસીના કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાનનું પાલન કરવામાં આવ્યું હતું. તમામ દંપતીઓએ પવિત્ર કુંડમાં સ્નાન કરી શુદ્ધિકરણ કર્યું હતું. માતાજીની વિશેષ પૂજા-અર્ચનામાં ભાગ લીધો હતો. શુદ્ધિકરણ વિધિ બાદ તમામે આજીવન સનાતન ધર્મનું પાલન કરવાનો અને હિન્દુ પરંપરાઓનું અનુસરણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.
લોભ-લાલચમાં આવીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર
ઘરવાપસી કરનારા શ્રદ્ધાળુઓએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, વર્ષો પહેલા અમુક લોભ-લાલચ અને પ્રલોભનોમાં આવીને તેઓએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. જોકે, તેઓ પોતાની મૂળ સંસ્કૃતિ તરફ પાછા ફર્યા છે. હવે તેઓ ગર્વ સાથે હિન્દુ ધર્મનો ભાગ હોવાનું અનુભવી રહ્યા છે.