પ્રાકૃતિક ખેતીનો મધુર સ્વાદ : તાપીના બેડકુવા ગામના ખેડૂતે કેમિકલમુક્ત ગોળના ઉત્પાદન દ્વારા રાજ્યભરમાં જમાવી આગવી ઓળખ...
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના અંતરિયાળ બેડકુવા ગામના પ્રગતિશીલ ખેડૂત નાનસિંગભાઈ ચૌધરીએ આધુનિક યુગમાં પરંપરાગત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવીને સફળતાનું એક નવું શિખર સર કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના આંધળા ઉપયોગને કારણે જમીન અને સ્વાસ્થ્ય બંને બગડી રહ્યા છે, ત્યારે નાનસિંગભાઈએ જીવામૃત અને ઘન જીવામૃતના પ્રયોગ દ્વારા પોતાની જમીનને નવસાધ્ય કરી છે. તેમના મતે, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રતાપે વર્ષોથી કઠણ થઈ ગયેલી જમીન આજે 'રૂ' જેવી પોચી અને ફળદ્રુપ બની છે, જેનો સીધો લાભ તેમના શેરડીના પાકને મળી રહ્યો છે. શેરડીના વાવેતરમાં કોઈપણ પ્રકારના યુરિયા કે ડીએપીનો ઉપયોગ કર્યા વગર તૈયાર થયેલો પાક ગુણવત્તામાં શ્રેષ્ઠ સાબિત થયો છે.
માત્ર ખેતી કરવાને બદલે નાનસિંગભાઈએ તેમાં મૂલ્યવર્ધન (વેલ્યુ એડિશન)નો અભિગમ અપનાવીને ખેતરે જ ગોળનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ગોળની ખાસિયત એ છે કે તેમાં ભીંડા કે સુખડ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ કરીને તેને શુદ્ધ કરવામાં આવે છે, જેના કારણે તેમાં કોઈ પણ પ્રકારના ઝેરી કેમિકલનો અંશ રહેતો નથી. આ કેમિકલ રહિત શુદ્ધ ગોળનો સ્વાદ અને તેની સ્વાસ્થ્યવર્ધક લાક્ષણિકતાઓ એટલી લોકપ્રિય બની છે કે તેની માંગ માત્ર તાપી જિલ્લા પૂરતી સીમિત રહી નથી. આજે સુરત, નવસારી જેવા દક્ષિણ ગુજરાતના શહેરોથી લઈને અમદાવાદ, ગાંધીનગર અને છેક સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી લોકો આ ગોળની અગાઉથી બુકિંગ કરાવી રહ્યા છે.
આર્થિક પાસાની વાત કરીએ તો, નાનસિંગભાઈની આ પદ્ધતિ અન્ય ખેડૂતો માટે પથદર્શક બની છે. બજારમાં કાચી શેરડી વેચવાને બદલે તેનું ગોળમાં રૂપાંતર કરવાથી તેમને મૂલ્યવર્ધનનો મોટો ફાયદો મળી રહ્યો છે. શેરડીના વાવેતરથી લઈને ગોળ તૈયાર કરવાના મજૂરી અને પેકેજિંગ સહિતના તમામ ખર્ચને બાદ કરતા પણ તેઓ વાર્ષિક ધોરણે સારો એવો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. આ સફળતા પાછળ તેમનો મક્કમ નિર્ધાર અને પ્રકૃતિ સાથેનો તાલમેલ જવાબદાર છે. આમ, બેડકુવા ગામના આ ખેડૂતે સાબિત કરી દીધું છે કે જો શુદ્ધ દાનતથી અને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે, તો તે ખેડૂતોને સમૃદ્ધિના દ્વાર સુધી લઈ જઈ શકે છે અને ગ્રાહકોને કેમિકલમુક્ત આહાર પીરસી શકે છે.