નવસારીમાં અનોખી અંતિમયાત્રા નિકળી : વાજતે-ગાજતે, ફટાકડા ફોડીને કઢાઈ અંતિમયાત્રા, દાદએ શતાબ્દી મારી, 103 વર્ષ જીવ્યા
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના જામનપાડા ગામે 103 વર્ષનું દીર્ઘાયુ ભોગવીને એક વૃદ્ધે અંતિમ શ્વાસ લીધા હતા. સદી વટાવી ચૂકેલા આ વડીલની વિદાયને શોકને બદલે એક ઉત્સવની જેમ ઉજવવામાં આવી હતી. પરંપરાગત આદિવાસી વાજિંત્રો અને ફટાકડાની આતશબાજી સાથે તેમની અંતિમયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી.
103 વર્ષની જૈફ વયે અંતિમ શ્વાસ
ખેરગામ તાલુકાના જામનપાડા ગામના તળાવપાડા ફળિયામાં રહેતા નારણભાઈ જેસલાભાઈ ગરાસીયાએ 103 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી હતી. એક સદીથી વધુનું આયુષ્ય ભોગવીને તેમણે સંપૂર્ણ અને સ્વસ્થ જીવન જીવ્યું હતું. પરિવારના મોભીની આ વિદાયને કારણે પરિવારે આંસુને બદલે ગર્વ અને સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવાનો નિર્ણય લીધો હતો.
પરંપરાગત વાજિંત્ર 'તૂર' અને ફટાકડાની ગુંજ સાથે અંતિમયાત્રા
શતાબ્દી ઉજવી ચૂકેલા નારણભાઈની અંતિમયાત્રા સામાન્ય ન રહેતાં એક અનોખી બની રહી હતી. તેમની અંતિમયાત્રા પરંપરાગત આદિવાસી વાજિંત્ર ‘તૂર’ ના ગુંજતા નાદ સાથે કાઢવામાં આવી હતી. આ ઉપરાંત, રસ્તામાં ફટાકડા ફોડીને અને વાજતે-ગાજતે તેમની નનામીને સ્મશાન સુધી લઈ જવામાં આવી હતી. આદિવાસી સંસ્કૃતિ મુજબ દીર્ઘાયુ ભોગવનાર વડીલની વિદાયને આ રીતે સમ્માનપૂર્વક ઉજવવાની પ્રથા અહીં જોવા મળી હતી.
રાજકીય અને સામાજિક આગેવાનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
સ્વર્ગસ્થ નારણભાઈના પુત્ર અરવિંદભાઈ ગરાસીયા નવસારી જિલ્લા ભાજપ આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ વિસ્તારમાં એક સામાજિક અને સેવાભાવી કાર્યકર તરીકે પણ જાણીતા છે. પિતાના અવસાનના સમાચાર મળતાં જ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ સ્વર્ગસ્થ નારણભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ગરાસીયા પરિવારને સાંત્વના પાઠવી હતી.