નીતા અંબાણીની આ સાડી બનતા લાગ્યા 2 વર્ષ! રામ મંત્રોના લખાણથી સુશોભિત સાડીમાં જોવા મળ્યો સાદગીભર્યો લુક...
ગતરોજ ઉજવણી બાદ આજે પણ 27 માર્ચ 2026ના રોજ સમગ્ર દેશમાં રામનવમીની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને ચારેબાજુ પ્રભુ શ્રીરામના નામની ગુંજ સંભળાઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયા પર બિઝનેસવુમન નીતા અંબાણીની કેટલીક તસવીરોએ ભારે આકર્ષણ જમાવ્યું છે. નીતા અંબાણી હંમેશા તેમની રોયલ લાઈફસ્ટાઈલ અને કિંમતી જ્વેલરી માટે જાણીતા છે, પરંતુ આ વખતે તેમની ચર્ચા પાછળનું કારણ તેમની અતૂટ શ્રદ્ધા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ છે. તાજેતરમાં જ્યારે તેઓ ઓડિશાની KIIT યુનિવર્સિટીમાં માનદ ડોક્ટરેટની પદવી સ્વીકારવા પહોંચ્યા, ત્યારે તેમણે ધારણ કરેલી 'રામ નામ' વાળી સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રામનવમીના આ પવિત્ર અવસરે તેમની આ તસવીરો વાઇરલ થતા લોકો તેમની સાદગી અને પરંપરા પ્રત્યેના આદરના ભારોભાર વખાણ કરી રહ્યા છે.
આ અદભૂત સાડીની વિશેષતા એ છે કે તેને તૈયાર કરવામાં પૂરા બે વર્ષનો સમય લાગ્યો છે. નીતા અંબાણીએ 'સ્વદેશ' બ્રાન્ડની બ્રાઉન કલરની કસ્ટમાઈઝ્ડ 'બંધા ઈકત' સાડી પહેરી હતી, જેને માસ્ટર આર્ટિઝન શ્રી હરિશંકર મેહર દ્વારા અત્યંત કુશળતા પૂર્વક હાથથી વણવામાં આવી છે. આ સાડીમાં પરંપરાગત 'બંધા' ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને સંપૂર્ણપણે કુદરતી રંગોથી તૈયાર કરવામાં આવી છે, જે તેની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. આ સાડી માત્ર ફેશનનું પ્રતીક નથી પરંતુ એક શ્રદ્ધાનું પ્રતીક છે, કારણ કે તેના પર ભગવાન રામનું નામ અંકિત કરવામાં આવ્યું છે જે તેને અન્ય સાડીઓ કરતા સાવ અલગ અને પવિત્ર બનાવે છે.
સાડીના ડિઝાઈન વિશે વાત કરીએ તો તેમાં કોઈ આધુનિક પેટર્ન નહીં પરંતુ આધ્યાત્મિકતાનો સ્પર્શ જોવા મળે છે. આખી સાડી પર 'રામ શિલા'થી પ્રેરિત મોઝેક ડિઝાઈન બનાવવામાં આવી છે, જેમાં ‘રામ’ નામ એક નહીં પણ અનેક ભાષાઓમાં કંડારવામાં આવ્યું છે. સાડીના પલ્લુ એટલે કે છેડા પર ઓડિયા લિપિમાં પવિત્ર મંત્રોને અત્યંત સુંદરતાથી વણવામાં આવ્યા છે, જે પરંપરાગત ઈકત પેટર્ન સાથે સુમેળ સાધે છે. આ ખાસ પ્રસંગે નીતા અંબાણીએ ડાયમંડ જ્વેલરીને બદલે લાંબો અને પરંપરાગત બીડેડ નેકલેસ પસંદ કર્યો હતો, જે તેમના લુકનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. તેની સાથે ફ્લોરલ ડિઝાઈનવાળી ઈયરરિંગ્સ અને ગોલ્ડ બંગડીઓ ધારણ કરીને તેમણે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. હળવો મેકઅપ, નાની બિંદી અને ફૂલોથી સજાવેલો અંબોડો તેમના વ્યક્તિત્વને એક ભારતીય નારીની આદર્શ છબી તરીકે રજૂ કરતો હતો.