'રામાયણ' સામે હોલીવુડની ફિલ્મો પણ ફિક્કી પડશે! રણબીર કપૂરે ફિલ્મના રનટાઈમ અને શૂટિંગ વિશે કર્યો મોટો ધડાકો
નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ' અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. લોસ એન્જલસમાં યોજાયેલી ટીઝર લોન્ચ ઈવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ફિલ્મ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. રણબીરે આ ફિલ્મને ભારતીય સિનેમાનું સૌથી મોટું મહાકાવ્ય ગણાવતા તેની સરખામણી હોલીવુડની ક્લાસિક ફિલ્મ 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' સાથે કરી છે. રણબીરે પુષ્ટિ કરી છે કે તે આ ફિલ્મમાં ભગવાન રામની સાથે ભગવાન પરશુરામનો પણ રોલ ભજવી રહ્યો છે. ફિલ્મનો વ્યાપ એટલો મોટો છે કે બંને ભાગનો રનટાઈમ ૩ કલાકથી વધુ રહેવાની શક્યતા છે.
રણબીર કપૂરે ખુલાસો કર્યો છે કે 'રામાયણ'ના બંને ભાગો માટે તેમની પાસે લગભગ 6 કલાકથી વધુના અદભૂત દ્રશ્યો અને એક્શન સિક્વન્સનું ફૂટેજ તૈયાર છે. 'રામાયણ ભાગ-2' માટે હજુ પણ થોડું શૂટિંગ બાકી છે. ફિલ્મની લંબાઈ અને ભવ્યતાને જોતા બંને ભાગનો રનટાઈમ 3-3 કલાકથી પણ વધી શકે છે, જે દર્શકોને એક અદ્ભુત સિનેમેટિક અનુભવ પૂરો પાડશે.ફિલ્મના સ્કેલ વિશે વાત કરતા રણબીરે જણાવ્યું કે, 'રામાયણ' કોઈ પણ રીતે હોલીવુડની 'લોર્ડ ઓફ ધ રિંગ્સ' જેવી મહાકાવ્ય ફિલ્મોથી ઓછી નથી.
રણબીરના મતે, આ માત્ર એક ફિલ્મ નથી પણ દેશનું સૌથી મોટું મહાકાવ્ય છે. ટીઝર તો માત્ર એક નાની ઝલક હતી, અસલી જાદુ હજુ છ કલાકના વિઝ્યુઅલ્સમાં છુપાયેલો છે જે લાગણીઓ અને શૌર્યથી ભરપૂર છે. આ ફિલ્મમાં રણબીર કપૂર માત્ર ભગવાન રામની જ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુના અન્ય એક અવતાર એવા ભગવાન પરશુરામની ભૂમિકામાં પણ જોવા મળશે. રણબીરે આ ડબલ રોલની પુષ્ટિ કરતા કહ્યું કે, ભગવાન રામ પહેલા વિષ્ણુના અવતાર રહેલા પરશુરામની ભૂમિકા ભજવવી એ તેમના માટે એક અદ્ભુત તક હતી.
જોકે, પરશુરામની આ ભૂમિકા ટૂંકી પણ અત્યંત પ્રભાવશાળી હશે. રણબીર કપૂરે જણાવ્યું કે 'રામાયણ'નું શૂટિંગ શરૂ કરતા પહેલા તેણે આખું વર્ષ આ પાત્રોને સમજવામાં વિતાવ્યું છે. શારીરિક ભાષા કરતા પણ વધુ તેણે ભગવાન રામ અને પરશુરામની આધ્યાત્મિકતા અને તેમની વિચારધારાને ઊંડાણપૂર્વક સમજવા પર ભાર મૂક્યો છે. એક વર્ષની આ મહેનત સ્ક્રીન પર પાત્રોમાં જીવંતતા લાવવા માટે કરવામાં આવી છે. ફિલ્મમાં રણબીરની સાથે દક્ષિણ ભારતની સુપરસ્ટાર સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે.
નિતેશ તિવારી દ્વારા નિર્મિત આ મહાકાવ્ય બે ભાગમાં રિલીઝ થશે. 'રામાયણ ભાગ-1' આ વર્ષે 2026ની દિવાળી પર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. જ્યારે આ વાર્તાનો બીજો અને અંતિમ પ્રકરણ એટલે કે 'રામાયણ ભાગ-2' આવતા વર્ષે એટલે કે દિવાળી 2027માં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેરાતથી સિનેમા પ્રેમીઓમાં ભારે ઉત્તેજના છે.