શું AI ખરેખર નોકરીઓ ખાઈ રહ્યું છે? ઓરેકલમાંથી 12,000 ભારતીયોની છટણી બાદ પરફ્લેક્સિટીના CEO એ શું કહ્યું?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવ વચ્ચે ભારતીય આઈટી સેક્ટરમાંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની અગ્રણી ટેક કંપની ઓરેકલ એ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કર્યા છે. આ છટણી કંપનીના વૈશ્વિક સ્તરે 30,000 કર્મચારીઓને છૂટા કરવાના મોટા અભિયાનનો એક ભાગ હોવાનું માનવામાં આવે છે, જેમાં AI ના કારણે બદલાતા બિઝનેસ મોડલને મુખ્ય કારણ ગણાવવામાં આવ્યું છે. મોટા પાયે થયેલી છટણી વચ્ચે, જાણીતા AI સ્ટાર્ટઅપ 'પરપ્લેક્સિટી' ના CEO અરવિંદ શ્રીનિવાસે એક વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે.
એક પોડકાસ્ટ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, જે લોકોએ AI ના કારણે નોકરી ગુમાવી છે, તેમણે તેને એક તક તરીકે જોવી જોઈએ. શ્રીનિવાસના મતે, AI ટૂલ્સ લોકોને 'મિની બિઝનેસ' શરૂ કરવાની સુવર્ણ તક આપે છે. તેમણે ઉમેર્યું કે, ઘણા કર્મચારીઓ પોતાની નોકરીથી ખુશ નથી હોતા, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું સ્વતંત્ર કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. અરવિંદ શ્રીનિવાસના આ નિવેદનની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા પણ થઈ રહી છે. નેટીઝન્સનું કહેવું છે કે અચાનક નોકરી ગુમાવનાર વ્યક્તિ માટે રાતોરાત બિઝનેસ શરૂ કરવો વ્યવહારિક રીતે ખૂબ જ મુશ્કેલ હોય છે.
નાણાકીય જવાબદારીઓ અને પરિવારના ભવિષ્ય વચ્ચે 'બિઝનેસ સલાહ' કેટલી યોગ્ય છે તે અંગે ભારે ચર્ચા જાગી છે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આગામી 5 વર્ષોમાં AI ની અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે જોવા મળશે. ડેટા સાયન્સ, વેબ ડિઝાઇનિંગ અને પ્રોગ્રામિંગ જેવા ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓ પર સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે.
કેટલાક એક્સપર્ટ્સનું અનુમાન છે કે ટેક સેક્ટરમાં બેરોજગારીનો દર 30% સુધી પહોંચી શકે છે. ઓરેકલ જેવી દિગ્ગજ કંપની દ્વારા લેવાયેલા આ પગલાએ સાબિત કર્યું છે કે ટેકનોલોજીના બદલાતા યુગમાં કર્મચારીઓ માટે સતત નવું શીખવું અનિવાર્ય બની ગયું છે. AI એક તરફ કામ કરવાની રીતને સરળ બનાવી રહ્યું છે, તો બીજી તરફ તે હજારો પરિવારોની રોજીરોટી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી રહ્યું છે.